ગિરના સિંહ જય-વીરૂની જોડીને સમર્પિત પરિમલ નથવાણી દ્વારા વીડિયો-ગીત અને ડોક્યુમેન્ટરીનું લોકાર્પણ
ગિરના દુર્લભ અને પ્રખ્યાત સિંહ જય અને વીરૂની જોડીને સમર્પિત હદયસ્પર્શી લોક શૈલીમાં રચાયેલું એક ભાવપૂર્ણ વીડિયો ગીત જય-વીરૂની જોડી તેમજ એક ડોક્યુમેન્ટરી 'જય વીરૂની અમરગાથા'નું રાજ્યસભા સાંસદ અને જાણીતા સિંહપ્રેમી પરિમલ નથવાણી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. મહત્ત્વપૂર્ણ છે કે આ બન્ને સિંહોનું તાજેતરમાં અવસાન થયું છે.
સિંહ જય-વીરૂની જોડીને પરિમલ નથવાણી દ્વારા ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ
પરંપરાગત સંગીત અને લોકવાદોની છાયામાં તૈયાર થયેલું આ ગીત ગિરના રાજા સમાન બનેલા જય-વીરૂના અતૂટ બંધન,અખૂટ શક્તિ અન અણમોલ બંધુત્ત્વને શ્રદ્ધઆંજલિ રૂપ છે. ગીતમાં જય અને વીરૂનો પારસ્પરિક પ્રેમ તથા તેમની જોડીને બિરદાવનારાઓની હદયની લાગણીઓ પ્રતિબિંબિત થાય છે.
જાણીતા ગાયક આદિત્ય ગઢવીએ આ ગીત અને ડોક્યિમેન્ટરીને સ્વર આપ્યો છે. ગીત અને ડોક્યુમેન્ટરીનું આલેખન જાણીતા સ્ક્રીનપ્લે લેખક અને ગીતકાર પાર્થ તારપરાએ કર્યું છે. સંગીત ભાર્ગવ અને કેદારની પ્રતિભાસભર જોડીએ તૈયાર કર્યું છે. આ જ ટીમે 'ગીર ગજવતી આવી સિંહણ' નામનું લોકપ્રિય ગીત પણ બનાવ્યું હતું. જે ગયા વર્ષે વર્લ્ડ લાયન ડે (10 ઓગસ્ટ 2024)ના રોજ રિલીઝ થયું હતું.
ગિરના સિંહ જય-વીરૂની અમર ગાથા
ગુજરાતની લોકસંસ્કૃતિ સાથે જોડાયેલા લોક કલાવંતો દ્વારા સર્જાયેલું જય-વીરૂની જોડીએ માત્ર એક ગીત નથી પણ ગિરના આ બે વિખ્યાત સિંહોની વિરાસતને ઉજાગર કરતી એક ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ પણ છે.'જય-વીરૂની અમર ગાથા', બીજી બાજુ, સાસણ ગિરની સુંદરતા તેમજ પ્રભાવશાળી સિંહ જોડીની હાજરીએ તેને કઇ રીતે અસાધારણ બનાવતી હતી તેનું વર્ણન કરે છે. તે જય અને વીરૂના અનંત બંધન અંગે પણ જણાવે છે.'જય અને વીરૂ માત્ર સિંહ ન હતા- તેઓ વફાદારી, એકતા અને મિત્રતાનું દ્રષ્ટાંત હતા. આ જોડીએ ઘણા લોકોના હદયમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે.'તેમ પરિમલ નથવાણીએ જણાવ્યું અને કહ્યું કે, 'આ ગીત અને ડોક્યુમેન્ટરી મારા અને અનેક સિંહ પ્રેમીઓનાં ભાવોને અભિવ્યક્ત કરે છે.'
વધુમાં, આ વર્ષના વર્લ્ડ લાયન ડે (10 ઓગસ્ટ) નિમિતે પરિમલ નથવાણીએ જય-વીરૂની યાદમાં વિશિષ્ટ સ્મૃતિસભર ટી-શર્ટ્સ પણ તૈયાર કરાવ્યાં છે જે સાસણ ગિરની સુવેનિયર દુકાનમાં ઉપલબ્ધ રહેશે.
ગિરના સિંહો અને વન્યજીવ સૃષ્ટિ માટે સતત કાર્યરત છે પરિમલ નથવાણી
ગીર અને સિંહોના જતન-સંવર્ધન માટે સતત કાર્યરત પરિમલ નથવાણી તેમનાં વાર્ષિક લાયન કેલેન્ડર અને સોશિયલ મીડિયા પર ગિરના સિંહો અને વન્યજીવ સૃષ્ટિ વિશેની માહિતી મૂકતા રહેવા માટે પણ જાણીતા છે. પરિમલ નથવાણીએ જણાવ્યું કે, 'જય-વીરૂની જોડી' ગીત તમામ મોખરાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ રહેશે. 'જય અને વીરૂની ગર્જના આપણી ચેતનામાં હંમેશા જીવંત રહે અને આ ગીત અને ડોક્યુમેન્ટરી મારફતે હું તેમને યથાર્થ શ્રદ્ધાંજલિ આપવા માગું છું.' પરિમલ નથવાણીએ એ પણ યાદ કર્યું કે તેઓ જય અને વીરૂના નામકરણ કરવાની પ્રક્રિયામાં પણ જોડાયેલા હતા, જેને કારણે આ શ્રદ્ધાંજલિ વધુ લાગણીસભર બની છે.

