VIDEO: માંગરોળના આજક ગામે નવા બની રહેલા પુલની કામગીરીમાં ભ્રષ્ટાચારનો સ્થાનિકોનો આક્ષેપ, જાણો શું છે સમગ્ર વિવાદ
જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આજક ગામે નવા બની રહેલા પુલની કામગીરી સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. આંત્રોલીથી કેશોદ જતા માર્ગ પર બની રહેલા આ પુલમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાતું હોવાનો ગ્રામજને ગંભીર આરોપ લગાવ્યો છે, સમગ્ર મામલે ગ્રામજનો રોષે ભરાયા છે.સ્થાનિકોનું કહેવું છે કે, જુનો પુલ મજબૂત હોવા છતાં તોડી પડાયો હતો અને હવે નવા કામમાં અધિકારીઓની મિલીભગતથી કોન્ટ્રાક્ટર "લોટ પાણીને લાકડા" જેવી કામગીરી કરી રહ્યા છે. ભવિષ્યમાં આ પુલ જોખમી સાબિત થવાની ભીતિ વચ્ચે, ગ્રામજનોએ આ મામલે ઉચ્ચ કક્ષાની નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
જવાબદાર અધિકારીઓની દેખરેખના અભાવે ઠેકેદારો મનમાની કરી રહ્યા છે
સ્થાનિક રહેવાસીઓએ આરોપ લગાવ્યો છે કે જવાબદાર અધિકારીઓની દેખરેખના અભાવે ઠેકેદારો મનમાની કરી રહ્યા છે, જેના કારણે સરકારી નાણાંનો વ્યર્થ ખર્ચ થવાની ભીતિ છે. જો સમયસર તપાસ ન થાય તો આવનારા સમયમાં આ પુલ લોકોની સલામતી માટે જોખમરૂપ બની શકે તેવી ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
આ સમગ્ર મામલે આજક ગામના લોકોએ એકસ્વરે ઉચ્ચ કક્ષાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠાવી છે. ગ્રામજનોનું કહેવું છે કે જો તપાસમાં ભ્રષ્ટાચાર સાબિત થાય તો જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે.હાલ પુલના કામને લઈને ગામમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ મુદ્દો હવે સ્થાનિક સ્તરેથી જિલ્લા કક્ષાએ ચર્ચાનો વિષય બનતો જઈ રહ્યો છે.

