Junagadh news: ગિરનાર રોપ-વેની સેવા આગામી 3 દિવસ માટે બંધ રહેશે, જાણો કારણ

Junagadh news: જૂનાગઢના જાણીતા તીર્થધામ અને પ્રવાસન સ્થળ ગિરનાર પર્વત પર આગામી અઠવાડિયામાં ત્રણ દિવસ માટે રોપ-વેની સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રોજ હજારો ભક્તોની ભીડ રહે છે ત્યારે, મેન્ટેનન્સની કામગીરીને કારણે આ નિર્ણય લેવાયો છે.
કઈ તારીખોમાં રોપ-વે બંધ રહેશે?
ગિરનાર રોપ-વેના મેન્ટેનન્સ(જાળવણી)ની કામગીરીને લીધે સાતમી, આઠમી અને નવમી ઑક્ટોબર એમ ત્રણ દિવસ માટે રોપ-વે સેવા સંપૂર્ણપણે બંધ રહેશે. આ કામગીરી પૂર્ણ થયા બાદ 10મી ઑક્ટોબરથી પ્રવાસીઓ માટે રોપવે સેવા ફરી કાર્યરત કરવામાં આવશે. આ ત્રણ દિવસ દરમિયાન પ્રવાસીઓ તેમજ સ્થાનિક લોકો રોપવેની સુવિધાનો લાભ લઈ શકશે નહીં.
પ્રવાસીઓને નિરાશા, સીડી ચઢીને કરવા પડશે દર્શન
ગિરનાર રોપ-વે શરુ થયા પછી પ્રવાસીઓ માટે પર્વત પર પહોંચવું વધુ સરળ બન્યું છે. ખાસ કરીને સાસણ ગિર અને સત્તાધાર ફરવા આવતા લોકો પણ રોપ-વે દ્વારા ગિરનાર પર્વત જાય છે. જો કે, આ ત્રણ દિવસ રોપવે બંધ રહેતા મા અંબા અને ભગવાન દત્તાત્રેય તેમજ જૈન દેરાસરના દર્શન કરવા આવતાં લોકોને નિરાશાનો સામનો કરવો પડશે. ભક્તોએ પર્વત પર આવેલા આસ્થા અને વિશ્વાસના કેન્દ્ર સમા મંદિરોમાં દર્શન કરવા માટે સીડીઓ ચઢીને જવું પડશે.

