Video: કપરા સમયમાં સરકાર ખેડૂતોની સાથે, જુનાગઢમાં પાક નુકસાનીનો તાગ મેળવ્યા બાદ CM એ આપ્યું આશ્વાસન
રાજ્યભરમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોએ લાખો હેક્ટર જમીનમાં વાવેલા પાકનો સોથ વળી ગયો છે, ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પરિસ્થિતિનો તાગ મેળવવા જુનાગઢ જિલ્લાનાં માળીયાહાટીના તાલુકાના જુથળ ગામે પહોંચ્યા હતા અને ખેડૂતો સાથે નુકસાન મુદ્દે સંવાદ કરી સર્વે કરી યોગ્ય વળતર આપવાની હૈયાધારણ આપી હતી.
મુખ્યમંત્રીએ જુથળ ગામનાં ખેતરોની મુલાકાત લીધી
રાજ્યમાં 10 દિવસથી પડી રહેલા માવઠાને કારણે ખેડૂતોને પાકમાં મોટું નુકસાન થયું છે. તૈયાર પાક વરસાદી પાણીમાં ધોવાઈ જતાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ત્યારે ખેતરોમાં થયેલા નુકસાનનો તાગ મેળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જુનાગઢનાં માળીયાહાટીના તાલુકાના જુથળ ગામની સીમમાં નીરીક્ષણ કર્યું હતું અને ખેડૂતોને આશ્વાસન આપી કહ્યું કે સરકાર તમારી સાથે છે. મુખ્યમંત્રીએ જુથળ ગામનાં ખેતરોની મુલાકાત લઈને ખેડૂતો સાથે બેઠક કરી હતી.

