Junagadh news: બે વર્ષથી ચાલતી નકલી બીએડ કોલેજનો પર્દાફાશ; મંજૂરી પત્ર પણ બનાવટી નીકળ્યા, યુનિવર્સિટીએ માન્યતા કરી રદ

જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટી હેઠળની ઉના તાલુકાના ભાચા ગામની વી. બી. નાંડોળા બી.એડ કોલેજ નકલી હોવાનો ઘટસ્ફોટ થતા યુનિવર્સિટીના વીસીએ સ્પષ્ટતા કરી છે. એનસીટીઇની મંજૂરીના બોગસ પત્રોના આધારે બે વર્ષ સુધી કોલેજો ધમધમી રહી હતી. યુનિવર્સિટીના VCએ બીએડ કોલેજની માન્યતા રદ કરી નાખી છે.
માન્યતા રદ કરાઈ છતાં બોગસ પત્ર તૈયાર કરી કોલેજ ચાલુ રખાઈ
ગુજરાતમાં જાણે નકલીનો કાળો કારોબાર ચાલતો હોય તેમ હવે નકલી બીએડ કોલેજ પણ સામે આવી છે. કોઈપણ બીએડ કોલેજ ચાલુ કરવા માટે દિલ્હી સ્થિત એનસીટીઇની મંજૂરી લેવી ફરજીયાત છે, એનસીટીઈ દ્વારા ઉનાની ભાચા ગામની વનિતાબેન બચુભાઈ નાંદોડા કોલેજની માન્યતા વર્ષ 22-23 માં રદ કરી નાખવામાં આવી હતી, છતાં એનસીટીઈના નામે બોગસ પત્ર તૈયાર કરી બે વર્ષ સુધી કોલેજ ચલાવવામાં આવી હતી. નરસિંહ મહેતા યુનિવર્સિટીએ બોગસ મંજૂરીના પત્રના આધારે બી એડ માટે તેમને 100 વિદ્યાર્થી પણ ફાળવી દીધા હતા.
બીએડ કોલેજની માન્યતા રદ
જુનાગઢ નરસિંહ મહેતા યુનિવર્સિટીના નવા વી.સી. તરીકે પ્રતાપસિંહ ચૌહાણ આવ્યા અને તેના ધ્યાન પર આ મામલો આવતા તુરંત જ ભાચાની વી બી નાંદોડા, વિસણવેલની ઉકાભાઇ ડોડીયા બી એડ કોલેજ અને માંગરોળના શારદા ગામની બીએડ કોલેજની માન્યતા રદ કરી નાખી છે. બાદમાં જે મંજૂરીનો પત્ર એનસીટીઈના નામનો હતો તેની આર.ટી.આઈ એક્ટિવિસ્ટ દ્વારા એનસીટીઈ પાસે આરટીઆઇના માધ્યમથી તપાસ કરતા એનસીટીઈ દ્રારા વર્ષ 2022-23 અને 2023-24માં કોઈપણ પ્રકારની મંજૂરી આપી જ ન હોવાનો છતાં ભાચા વિષણવેલ અને શારદાગ્રામ કોલેજ ધમધમી રહી હતી. આ સમગ્ર મામલે ગુજરાતભરમાં ચકચાર મચી છે.
શું અગાઉના વાઈસ ચાન્સેલર આ અંગે અજાણ હતા?
આ અંગે નરસિંહ મહેતા યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરે જણાવ્યું છે કે એનસીટીઈની માન્યતા રદ થઈ ગઈ હતી, તે ધ્યાનમાં આવતા તુરંત જ કાર્યવાહી કરી છે. પરંતુ અગાઉના વાઈસ ચાન્સેલર દ્રારા શા માટે કાર્યવાહી નથી થઈ તે અંગે અનેક અટકળો ચાલી રહી છે.

