VIDEO: જામનગરમાં જેગુઆર અગનગોળામાં ફેરવાયું, ફાઈટર પ્લેન ક્રેશ દુર્ઘટનામાં એક પાયલટનું મોત
ગુજરાતના જામનગરમાં જેગુઆર ફાઈટર પ્લેન ક્રેશ થયું હોવાનું સામે આવ્યું છે. જામનગરના સુવરડા ગામની સીમમાં ફાઈટર પ્લેન ક્રેશ થતાં ભારે દોડધામ મચી જવા પામી છે. પ્લેનમાં સવાર બે પાયલટમાંથી એકનું ઘટનાસ્થળે મોત થયું હતું જ્યારે એક પાઈલટને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પ્લેન ક્રેશ થતાં તેના ટુકડા થઈ ગયા હતા અને દુર્ઘટનાને પગલે દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ થતાં સ્થાનિક તંત્ર સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી પહોંચ્યો છે.
મળતી માહિતી પ્રમાણે, બુધવારે રાત્રે જામનગર નજીક સુવરડા ગામની સીમમાં એરફોર્સની તાલીમ માટે બે પાયલટ સાથે ઉડેલું 'જેગુઆર' ફાઈટર પ્લેન ક્રેશ થયું હતું. ફાઈટર પ્લેનમાં અગમ્ય કારણોસર ટેકનિકલ ખામી સર્જાતા પાયલટને તેની જાણ થઈ. નીચે જામનગરનો રહેણાંક વિસ્તાર હોવાથી ગામને બાચાવવા માટે અંતિમ ઘડી સુધી પાયલટ પ્લેનમાં બેસી રહ્યા હતા અને અંતે પ્લેન ક્રેશ થયું હતું. આ અકસ્માત સર્જાતા એકાએક જ પ્રચંડ ધડાકા સાથે ક્રેશ થઈને અગનગોળામાં ફેરવાઈ ગયું હતું. બે પાયલટને ફાઈટર પ્લેનમાંથી પેરાશૂટની મદદથી નીકળવાનો પણ સમય મળ્યો નહોતો. આ અકસ્માતમાં તાલીમી પાયલટનું મોત નીપજ્યું હતું અને બીજાને ગંભીર ઈજા પહોંચી છે.
મહેસાણામાં ટ્રેઈની મહિલા પાયલટનું પ્લેન ક્રેશ થયું હતું
રાજ્યમાં 31 માર્ચ, 2025ના રોજ મહેસાણાના એરોડ્રોમ પર ચાલી રહેલા પાયલટ ટ્રેનિંગ સેન્ટરમાંથી ટ્રેનિંગ દરમિયાન એક નાના વિમાને ઉડાન ભરી હતું, જે ઉચરપી ગામના ખેતરમાં ક્રેશ થયું છે. આ ઘટનામાં એક ટ્રેઈની મહિલા પાયલટ ઈજાગ્રસ્ત થઈ હતી, જેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

