જામનગર મહાનગરપાલિકામાં નવી ટર્મમાં નહીં મળે તક!, કેટલાક સભ્યોએ અધિકારીઓને બાય બાય કહી દીધું

જામનગર સહિત તમામ મહાનગરપાલિકાઓમાં પાંચ વર્ષની ટર્મ પૂરી થતાં હવે વહીવટદાર શાસન લાગુ થયું છે. હાલ ચૂંટાયેલા ભાજપના અને વિપક્ષના કેટલાક સભ્યોએ મનોમન પોતાને હવે નવી ટર્મમાં તક નહીં મળે તેવું નક્કી કરી લીધું છે. આવા સભ્યોની સંખ્યા ખૂબ મોટી છે અને તે પૈકીના કેટલાક અધિકારીઓને આ ટર્મના છેલ્લા રામ રામ પણ કરી આવ્યાનું સામે આવ્યું છે.
જામનગર ભાજપમાં અલગ અલગ કેટલાય ચોકા ચાલે છે હવે ક્યાં ચોકામાં રહેવાથી કોને કેટલું નુકસાન અને કેટલો ફાયદો થશે તે ઉમેદવારોની સૂચી જાહેર થશે ત્યારે સ્પષ્ટ થશે. સામે પક્ષે વિપક્ષ કોંગ્રેસમાં પણ એવું જ છે. સમગ્ર સંગઠન સુસુપ્ત અવસ્થામાં રહ્યા બાદ છેલ્લા કેટલાક દિવસોથી વિરોધનો દેખાડો કરવા નીકળ્યા છે. એમાં પણ પૂરતા સભ્યોની હાજરી નથી તે દેખાઈ આવે છે. જામનગર શહેરમાં એવી ચર્ચાઓ થઈ રહી છે કે આ વખતની ચૂંટણીમાં AAP પણ મેદાને હશે. પરંતુ શું તેને 64 ઉમેદવારો મળશે..? અને મળશે તો જીત શ્યોર હોય તેવા કેટલા તે પક્ષને પોતાને પણ નહી ખબર હોય...!!
હવે ચુંટણીઓ જાહેર થશે તે પૂર્વે જ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારની પસંદગી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે ચૂંટણી લડવા ઇચ્છુકો માટે ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવ્યા છે.ભાજપે પ્રભારી પણ નીમી દીધા છે.
સ્વાભાવિક સતાધારી પાંખ હોય તેમાં ટીકીટ અને હોદ્દા મેળવવા બધાને ગમે પણ પક્ષને ગમે તે સાચું. કેટલાક વર્તમાન કોર્પોરેટરો પોતે રીપીટ થાય માટે રીતસર નેતાઓની પગચંપી શરુ કરી દીધી છે. પરંતુ નેતાઓ પણ આવા લોકોની મજા લેવામાં માહિર હોય છે.
મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ પ્રમાણે જ્ઞાતિગત સમીકરણોને ધ્યાનમાં લઈને ટિકિટની વહેંચણી દર વખતે કરવામાં આવે છે તેમાં કાંઇ નવું નથી પરંતુ આ વખતે કોર્પોરેટરો તેમના વિસ્તારમાં કેટલા કામો કર્યા છે કેટલા લોકોપયોગી બન્યા છે અને વિસ્તારના કેવા કાર્યો કર્યા છે તે મુજબ પસંદગીનો કળશ ઢોળવામાં આવી શકે છે. કારણ કે મોટાભાગના નગરસેવક કે જે પાંચ વર્ષ પોતાના વિસ્તારમાં લોકોને દેખાયા નથી એને હવે પક્ષ પણ નજર અંદાજ કરી શકે છે.
સ્થાનિક લોકો પણ મત માગવા આવનાર નેતાઓ માટે પ્રશ્નોની ઝડીઓ લઈને બેઠા છે ને રોકડું પરખાવી દેવાના મુડમાં છે. આ તમામ વચ્ચે હવે ચુંટણી જાહેર થવાની લોકો રાહ જોઈ રહ્યા છે.

