જામનગર / વકીલ હારુન પાલેજા હત્યા કેસમાં પોલીસે બસીર સાયચાને દબોચ્યો, 15 વિરુદ્ધ નોંધાયો છે ગુનો

જામનગર શહેરમાં પ્રખ્યાત વકીલ હારુન પાલેજા હત્યાના કેસમાં સાયચા ગેંગના 15 આરોપીઓ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો. આજે 20 માર્ચે પોલીસે આ હત્યા કેસમાં બસીર સાયચાને દબોચી લીધો છે. આ અગાઉ પોલીસે સાયચા ગેંગના સભ્યોના ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવી દીધું હતું.
ગત 13 માર્ચે એડવોકેટ હારુન પાલેજા કોર્ટથી ઘરે જઈ રહ્યાં હતા ત્યારે માથાભારે શખ્સોએ જાહેરમાં અસંખ્ય છરીના ઘા મારી તેમની હત્યા કરી હતી. એડવોકેટ હારુન પાલેજા જામનગરના ખ્યાતનામ વકીલ હતા તેમજ ઓલ ઇન્ડિયા સુન્ની મુસ્લિમ વાઘેર સમાજના પ્રમુખ હતા. એડવોકેટ હારુન પાલેજાની હત્યાના વકીલ આલમમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યાં હતાં. આ ઘટના બાદ જામનગરમાં વકીલોએ આરોપીઓ ઝડપાઈ નહીં ત્યાં સુધી કોર્ટ કાર્યવાહીથી અળગા રહેવાનો નિર્ણય કર્યો હતો.
સાયચા ગેંગના 3 બંગલા, 6 મિલકતો પર ફેરવાયું બુડોઝર
વકીલ હારુન પાલેજાની હત્યામાં જવાબદાર સાયચા ગેંગના 3 બંગલા, 6 મિલકતો પર પોલીસે બુલડોઝર ફેરવી દીધુ હતું અને 55 હજાર વર્ગ ફુટની કરોડો રૂપિયાની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી.
જામનગરના પચવટી વિસ્તારમાં રહેતી એક શિક્ષિકાને આત્મહત્યાને મજબૂર કરવા માટેનો સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં સાયચા ગેંગના બે શખ્સો સામે ગુનો નોંધાયો હતો. જે કેસમાં પોલીસે બંનેની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા, ત્યારબાદ અદાલતમાં જામીન અરજીની સુનાવણી વખતે અદાલતી તારીખમાં શિક્ષિકા આપઘાત કેસના ફરિયાદી બનેલા મૃતકના ભાઈ અને તેના વતી કેસ લડતા વકીલ હારૂન પલેજા કે જેને અદાલતમાં ધાકધમકી અપાઈ હતી. જે અંગેનો બીજો ગુનો પણ પોલીસમાં નોંધાયો હતો. બાદમાં આ વકીલ હારુન પાલેજાની પણ જાહેરમાં હત્યા થઈ હતી.

