Ahmedabad/ બે દિવસ ટાઈમ બદલી અંતે Indigoએ ફ્લાઇટ કેન્સલ કરી, અમદાવાદ એરપોર્ટ પર યાત્રીઓનો હોબાળો, કરણી સેના અધ્યક્ષ પણ અટવાયા
સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઇન્ડિગો એરલાઇન્સની બેદરકારીને કારણે મુસાફરોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદથી કાશ્મીર (શ્રીનગર) અને વારાણસી જતી ફ્લાઇટ્સ વારંવાર સમય બદલ્યા પછી અંતે કેન્સલ કરી દેવાતાં યાત્રીઓ બે દિવસથી એરપોર્ટ પર અટવાયા હતા.
એરપોર્ટ પર ઇન્ડિગો એરલાઇન્સના મુસાફરોએ આજે ભારે હોબાળો મચાવ્યો હતો. અમદાવાદથી કાશ્મીર અને વારાણસી જતી ફ્લાઇટ્સ વારંવાર રદ થતાં અને સમય બદલાતાં મુસાફરો બે દિવસથી એરપોર્ટ પર અટવાયા હતા, જેના કારણે કાઉન્ટર આગળ લાંબી કતારો અને ગુસ્સાનો માહોલ જોવા મળ્યો હતો.
વારંવાર સમય બદલાવ્યો, અંતે ફ્લાઇટ કેન્સલ
કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાંથી કાશ્મીરની ઠંડીની મજા માણવા જઈ રહેલા તેમજ ધાર્મિક સ્થળોની યાત્રાએ નીકળેલા યાત્રીઓની હાલત કફોડી બની હતી. અમદાવાદથી વારાણસી જતી ઇન્ડિગોની ફ્લાઇટની ટિકિટ ગઈકાલે 4 ડિસેમ્બર બપોરે પોણા ત્રણ વાગ્યાની હતી.
એરલાઇન્સે પછી મેલ કરીને સાંજે 5.00 વાગ્યાનો સમય આપ્યો.
એરલાઇન્સ દ્વારા દર બે કલાકે ફ્લાઇટનો સમય બદલવામાં આવ્યો અને છેલ્લે રાત્રે 12.30 વાગ્યાનો સમય મળતાં યાત્રીઓએ બોર્ડિંગ કરાવ્યું. જોકે, ત્યાર બાદ ફ્લાઇટ આવશે કે કેમ, તે અંગે કોઈ અપડેટ ન અપાતા યાત્રીઓ મુંઝાયા. ફરી એકવાર ફ્લાઇટનો સમય બદલીને આજે (5 ડિસેમ્બર, શુક્રવાર) સવારે 5. 00 વાગ્યાનો કરવામાં આવ્યો હતો.
આખરે, સવારે 5 .00 વાગ્યાની ફ્લાઇટ પણ ન આવતા તેને કેન્સલ કરી દેવાઈ. આવી જ રીતે અમદાવાદથી શ્રીનગર જતી ફ્લાઇટ કેન્સલ થતાં પણ અનેક યાત્રીઓ અટવાયા હતા.
યાત્રીઓ બે દિવસથી પરેશાન, હોટેલમાં રોકાવા મજબૂર
રાજકોટથી માતા વૈષ્ણવ દેવીના દર્શને જતા યાત્રીઓ પણ આ ફ્લાઇટ કેન્સલ થવાના કારણે છેલ્લા બે દિવસથી અમદાવાદ એરપોર્ટ પર હેરાન પરેશાન છે. એરલાઇન્સ તરફથી કોઈ યોગ્ય પ્રત્યુત્તર ન મળતા ઘણા યાત્રીઓએ ફરજિયાતપણે હોટલમાં રોકાવા મજબૂર બનવું પડ્યું. વળી, જે યાત્રીઓ હોટેલમાં જઈ શક્યા નહોતા, તેમને કડકડતી ઠંડીમાં એરપોર્ટ પર જ રાત વિતાવી પડી હતી.
આખરે, મુસાફરી રદ થતાં એરલાઇન્સે રિફંડ માટે 7 દિવસનો સમય માગ્યો છે, જેને કારણે યાત્રીઓનો ગુસ્સો વધુ ભભૂક્યો હતો. રોષે ભરાયેલા મુસાફરોએ અમદાવાદ એરપોર્ટ પર "Indigo ચોર હૈ" ના નારા લગાવીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

