Gir somnath: ડિમોલિશનની કામગીરી દરમિયાન પોલીસ પર પથ્થરમારો, ટીયરગેસના 3 સેલ છોડાયા

ગીર સોમનાથમાં સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ કરાયેલા ધાર્મિક સ્થળની ડિમોલિશનની કામગીરી દરમિયાન પોલીસ પર પથ્થરમારો કરાયો હોવાની ઘટના સામે આવી છે. ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરતાં પોલીસે લાઠીચાર્જ કર્યો અને ટીયરગેસના 3 સેલ છોડીને ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસ પર પથ્થરમારો કરતાં સ્થિતિ બેકાબૂ
મળતી માહિતી મુજબ, ગીર સોમનાથના પ્રભાસપાટણ ખાતે ગેરકાયદે બાંધકામ કરાયેલા ધાર્મિક સ્થળ પરના દબાણને દૂર કરવા માટે તંત્રએ આજે સોમવારે (10 નવેમ્બર) ડિમોલિશનની કામગીરી હાથ ધરી હતી. જોકે, આ દરમિયાન મહિલા સહિતના અનેક લોકોનું ટોળુ એકઠું થઈ ગયું હતું. તેવામાં ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરતાં સ્થિતિ બેકાબૂ બની હતી. આ દરમિયાન પોલીસે ટીયરગેસ છોડ્યા અને લાઠીચાર્જ કરીને ટોળાને વિખેર્યું હતું.
હાલ સ્થિતિમાં કાબૂમાં
પોલીસના જણાવ્યા અનુસાર, હાલ સ્થિતિમાં કાબૂમાં છે અને ઘટનાસ્થળે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. SPએ જણાવ્યું હતું કે, 'પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન વિસ્તારના ગૂડલક સર્કલ પાસે સોમનાથ મંદિર નજીક દુકાનો, મકાનો અને ધાર્મિક સ્થળ પરના દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી હતી.

