રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 2 દિવસ સાસણ ગીરનાં બનશે મહેમાન, 7 દિવસ વહેલી જંગલ સફારી શરૂ કરાશે

સાસણના ઈતિહાસમાં પ્રથમવાર ચોમાસાના ચાર માસ પૂર્ણ થાય તે પહેલાં જ જંગલ સફારી ખુલ્લી મુકવામાં આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાસણના મહેમાન બનવા આવતા હોવાથી વનતંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ તા. 10 અને 11 2 દિવસ ગીરની મુલાકાતે આવવાના છે. એ દરમ્યાન તેઓ ગીરના સૌંદર્ય અને એશિયાનું ઘરેણું એવા સાવજના દર્શન કરશે.
અગાઉ ગીરમાં 3 રાષ્ટ્રપતિે સિંહદર્શન માટે આવી ચુક્યા છે
અગાઉ ગીરમાં 3 રાષ્ટ્રપતિે સિંહદર્શન માટે આવી ચુક્યા છે. પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદે 1950ના દાયકામાં સિંહોની સંખ્યા ઘટી રહી હતી ત્યારે પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરૂ સાથે મળીને ગીરની મુલાકાત લીધી અને વન્યજીવન સંરક્ષણ માટે અનેક નિર્ણયો લીધા હતા. ત્યારબાદ પ્રતિભા પાટીલ, રામનાથ કોવિંદે પણ પરિવાર સાથે ગીરની મુલાકાત લીધી હતી. હાલના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તા. 10 અને 11 એમ બે દિવસ સાસણના મહેમાન બનવાના છે. તા. 10ના રાષ્ટ્રપતિ તેમના કાફલા સાથે સાસણ પહોંચી જશે. બે દિવસ દરમ્યાન સિંહદર્શન ગીરના સોળે કળાએ ખીલી ઉઠેલા કુદરતી સૌંદર્યનો અદભૂત નજારો નિહાળશે.
જંગલ સફારી તેના સમય કરતા સાત દિવસ વહેલા કરાશે શરૂ
દર વર્ષે ચોમાસાના ચાર માસ જંગલ સફારી બંધ રાખવામાં આવે છે. સામાન્ય રીતે તા. 15 જૂનથી 15 ઓક્ટોબર સુધી જંગલ સફારી બંધ હોય છે અને 16 ઓક્ટોબરથી ફરી ધમધમતી થાય છે. દર વખતે નવરાત્રી પહેલા જંગલ સફારી શરૂ થઈ જતી હોય છે. આ વખતે નવરાત્રી બાદ દિવાળીના 4 દિવસ પૂર્વે સત્તાવાર ચોમાસું પૂર્ણ થતું હોવાથી તા.16ના જંગલ સફારી ખૂલવાની હતી પરંતુ આ વખતે રાષ્ટ્રપતિ ગીરનાં મહેમાન બનવાના હોવાથી જંગલની સફારી તેના સમય કરતા સાત દિવસ વહેલા ખોલવાનો વનતંત્રએ નિર્ણય લીધો છે. રાષ્ટ્રપતિ આવવાના હોવાથી સાસણમાં અધિકારીઓની દોડધામ વધી ગઈ છે.

