Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગીર સોમનાથ : If anyone hurts my Koli community, I will not leave, says Parasottam Solanki

Gir somnath news: મારા કોળી સમાજને કોઈ દુઃખી કરશે તો હું નહીં છોડું, પરસોત્તમ સોલંકીનું સૂચક નિવેદન

Timeછેલ્લું અપડેટ : 08 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Gir somnath news: મારા કોળી સમાજને કોઈ દુઃખી કરશે તો હું નહીં છોડું, પરસોત્તમ સોલંકીનું સૂચક નિવેદન
સોર્સ : GSTV

ઉના તાલુકાના સિમર ગામે કોળી સમાજના સમૂહ લગ્નમાં મંત્રી પરસોત્તમ સોલંકીએ કરેલો આડકતરો કટાક્ષ હાલ ચર્ચામાં છે, જ્યાં તેમણે ધોકાવાળી વાતનો ઉલ્લેખ કરી કહ્યું કે 'ઘણીવાર જાહેરમાં ભાષણમાં કંઈ કહી દઉં છું કે, કોઈ ના સમજે તો ધોકાવાળી કરાય. જ્યારે આ મુદ્દો સમાચારમાં આવ્યો ત્યારે ટીવીવાળાઓએ તેનો ઘણો પ્રચાર કર્યો અને મને પૂછ્યું કે તમારે શું કહેવું છે. તો મેં કહ્યું કે, મેં જે કહ્યું છે તે સાચું છે, તમે ના સમજો તો એ તમારો વિષય છે. ભાષણ તો બધા રાજકારણીઓ કરે છે અને વાતો કરીને ભાગી જાય છે, પણ હું એમાંનો નથી. ચિંતા ન કરતા, તમને કોઈ ટેન્શન નહીં આપું. પરંતુ જો તમને કોઈ ધોકા મારે તો યાદ રાખજો કે તમારી પાછળ પરસોત્તમ સોલંકી ઊભો છે'

App Store

'અખતરા કરવા હોય તો યાદ કરજો'

મંત્રીએ વધુમાં કહ્યું કે, 'હું કોળી સમાજનો દીકરો છું, મને બીજું કંઈ આવડતું નથી. તમે બધાએ મારા દાખલા જોયા છે, જો મારા કોળી સમાજને કોઈ દુઃખી કરતું હશે તો હું નહીં છોડું. બીજાં કરે કે ના કરે, પણ મને મારો કોળી સમાજ બહુ પ્યારો છે. હું જે કરું છું તે દિલથી કરું છું અને સમાજના ભલા માટે કરું છું, મને કોઈ મર્યાદા નડતી નથી. હું રાજકારણ કરતો નથી અને મને તે આવડતું પણ નથી. દુઃખીની સામે દુઃખી અને સુખીની સામે સુખી બનીને ઊભો રહેવો એ જ મારી રીત છે. ભાવનગર, ગાંધીનગર કે ઉના... હું ગમે ત્યાં હોઉં, સમાજના કોઈ પણ વ્યક્તિને જરૂર પડે તો સીધા આવી જજો. તમારા અખતરા કરવા હોય તો પરસોત્તમ સોલંકીને યાદ કરજો'

'અત્યારે કોળી સમાજના 18 ધારાસભ્યો'

પરસોત્તમ સોલંકીએ સમાજના ધારાસભ્યોની સંખ્યાનો પણ ઉલ્લેખ કર્યો હતો, અને ટકોર કરી હતી કે, 'મને કોઈ 'લાલાપોપા' આવડતા નથી અને હું કોઈના પગે પડે તેવો નેતા નથી. સરકાર પાસે કશું માગતો નથી, પરંતુ જો સમાજના લોકો પર અત્યાચાર થશે તો સૌથી પહેલાં આવીને ઊભો રહીશ. અત્યારે કોળી સમાજના 18 ધારાસભ્યો છે. મારી ઈચ્છા છે કે હજુ વધુમાં વધુ કોળી સમાજના લોકો ધારાસભ્ય બને અને સમાજ મજબૂત થાય'. 

'હમ તો બુરે લોગ હૈ..'

બીજી તરફ હીરા સોલંકીએ સ્ટેજ પરથી એક શાયરીવાળા અંદાજમાં કહ્યું હતું કે, તેરે દિન અચ્છે હૈ તો મુજસે કિનારા કરલે, હમ તો બુરે લોગ હૈ બુરે વક્ત મેં કામ આતે હૈ. બાદ તેમણે પણ જણાવ્યું હતું કે જેને જે સમજવું હોય તે સમજે, અમને જેવા સમજવા હોય તેવા સમજે. પરંતુ તમારો સમય ખરાબ આવે તો અમને બે ભાઈઓને યાદ કરજો અમે તમારા ખરાબ સમયમાં સાથે આવીને ઉભા રહીશું.

કોળી સમાજ પર પ્રભુત્વ

ભાવનગર, અમરેલી સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોના કોળી સમાજના પ્રભુત્ત્વવાળા મતવિસ્તારમાં પરષોત્તમ ઓધવજીભાઈ સોલંકીની સારી પકડ છે. તેઓ 1998થી ભાવનગર ગ્રામીણ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા આવ્યા છે. પહેલા ઘોઘા બેઠક પરથી અને ત્યારબાદ ઘોઘા બેઠક ભાવનગર ગ્રામ્યમાં ભળી જતાં તેઓ ગ્રામ્યમાંથી જીતતા આવ્યા છે. 

1998માં ઘોઘા બેઠક પર પ્રથમ વખત ધારાસભ્ય બન્યા

પરસોત્તમ સોલંકી 1996માં અપક્ષમાંથી ભાવનગર બેઠક પરથી લોકસભા ચૂંટણી લડ્યા હતા. જોકે આ પછી વર્ષ 1997માં ભાજપના તત્કાલીન પ્રદેશ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ તેમને ભાજપમાં જોડાવવા આમંત્રણ આપ્યું હતું. આમ ભાજપમાં જોડાયા બાદ પરસોત્તમ સોલંકી વર્ષ 1998માં પહેલીવાર ઘોઘા બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડીને ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ 2002, 2007, 2012 અને 2017માં પણ ચૂંટાયા હતા. જોકે, સીમાંકન બાદ ઘોઘા બેઠક ભાવનગર ગ્રામ્યમાં ભળી હતી. જેથી બેઠક બદલાતા વર્ષ 2012, 2017 અને 2022માં પરસોત્તમ સોલંકી ભાવનગર ગ્રામ્યમાંથી ચૂંટણી જીતતા છઠ્ઠી વખત ધારાસભ્ય બન્યા હતા.

ક્યારે પહેલી વખત મંત્રી બન્યા?

પરષોત્તમ સોલંકીને વર્ષ 2007માં પહેલી વખત મત્સ્યોદ્યોગ અને પશુપાલનના રાજ્યકક્ષાના મંત્રી બનાવામાં આવ્યા હતા. આમ તેમની રાજકીય કારકિર્દીમાં વર્ષ 2007થી સતત ગુજરાત સરકારના મંત્રીમંડળનો ભાગ રહ્યા છે. નરેન્દ્ર મોદી, આનંદીબહેન પટેલ, વિજય રુપાણી, ભૂપેન્દ્ર પટેલ એમ ચાર વખત મુખ્યમંત્રી બદલાયા પણ તમામ મુખ્યમંત્રીઓની કેબિનેટમાં પરષોત્તમ સોલંકીને સ્થાન મળ્યું. આટલા વર્ષોમાં અનેક વખત કેબિનેટ પણ બદલાઈ, જોકે પરષોત્તમ મંત્રી પદે યથાવત્ રહ્યા. વર્ષ 2008માં મત્સ્યોદ્યોગ મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન પરષોત્તમ સોલંકીએ ટેન્ડર વગર ફિશરીઝ તળાવના કોન્ટ્રક્ટ આપ્યા હોવાની ફરિયાદના પગલે ગાંધીનગર સ્થિત સ્પેશિયલ કોર્ટમાં તેમના વિરુદ્ધ કાર્યવાહી ચાલી રહી છે. આ કેસમાં મત્સ્યઉદ્યોગમંત્રી તરીકે સોલંકી પર નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કર્યા વગર 58 જળાશયોમાં માછીમારીના કૉન્ટ્રેક્ટ આપી દેવાનો આરોપ લાગ્યો હતો.