ઉનાનાં અંજાર રોડ ઉપર નદીકાંઠે યુવાનની પથ્થરોના ઘા મારી હત્યા, પોલીસ કાફલો ઘટનાસ્થળે

ઊના શહેરનાં અંજાર રોડ ઉપર આવેલ નદીનાં કાંઠા પાસે અંજાર ગામનાં યુવાનની મોડીરાત્રે કોઈ અજાણ્યા શખ્સોએ પથ્થરોના ઘા મારી હત્યા કરી દીધી છે. હત્યાની જાણ થતા પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતક યુવાનો મૃતદેહ સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મોડીરાત્રે અંજાર રોડ ઉપર આવેલા નદીકાંઠે આવેલ રોડની સાઇડમાં લોહીલુહાણ હાલતમાં કોઇ શખ્શની લાશ પડી હોવાની જાણ ઉના પોલીસ અધિકારીઓ બનાવ સ્થળે દોડી આવ્યા હતાં. તપાસ કરતાં મૃતક યુવાન અંજાર ગામનો સોલંકી જીતુભાઈ કાનજીભાઈ ઉર્ફે બારોટ (ઉ.વ ૪૫) હોવાનું બહાર આવ્યું હતું. મૃતક યુવાન ઉનાનાં શિશુભારતી સ્કૂલ પાસે ચાની કેબીન ધરાવતો હતો. આ યુવાનનાં મૃતદેહનું નિરિક્ષણ કરતાં માથાના ભાગે કોઈ અજાણ્યા શખ્સોએ પથ્થરોનાં ધા મારીને મોતને ઘાટ ઉતાર્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે.
સમગ્ર મામલે પોલીસે ગુન્હો નોંધી યુવાનનાં મૃત્યુ અંગેનું કારણ શોધીને હત્યામાં સંડોવાયેલા અજાણ્યા શખ્સોની શોધખોળ શરૂ કરી છે.

