BZ કૌભાંડ મામલે શિક્ષણમંત્રીનું મોટું નિવેદન, કહ્યું ‘કોઈપણ શિક્ષકને છોડવામાં નહીં આવે, કોઈ ભલામણ નહીં…’

ગુજરાતમાં BZ ગ્રુપનો CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા એકના ડબલ કરવાની સ્કીમમાં ગુજરાત અને રાજસ્થાનમાંથી 6000 કરોડ ઉઘરાવ્યા પછી ફરાર થઇ ગયો છે. ત્રણ વર્ષમાં પૈસા બમણા કરવાની લાલચ આપીને ભૂપેન્દ્રસિંહ ઝાલાએ હજારો લોકોને છેતર્યા છે.
રોકાણની સામે ત્રણ વર્ષણાં બમણા અને સામાન્ય રોકાણની સામે ઉંચા વળતરની લાલચ આપીને રૂપિયા છ હજાર કરોડનું કૌભાંડ આચર્યાનો ઘટસ્ફોટ CID ક્રાઇમે કર્યો છે.
સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે, ભૂપેન્દ્રસિંહ ઝાલાના BZ ગ્રુપના કરોડો રૂપિયાના કૌભાંડમાં સરકારી અધિકારીઓ સામેલ છે જેમાં શિક્ષકોની સંખ્યા વધારે છે. બચત મંડળીઓમાંથી શિક્ષકો 1 થી 10 લાખ જેટલા રૂપિયા ઓછા વ્યાજે ઉપાડી વધુ વળતર મેળવવા માટે BZ ગ્રુપમાં પોતાની પત્ની અને સગાસંબંધીઓના નામે રોકાણ કરતા હતા. જેને લઈને પણ આવનાર સમયમાં મોટા ખુલાસા થઇ શકે છે.
BZ કૌભાંડમાં સામેલ કોઈ પણ શિક્ષકને છોડવામાં નહીં આવે - શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા
જો કે આ મામલે ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમને જણાવ્યું છે કે, ‘BZ ગ્રુપના કૌભાંડમાં સામેલ કોઈપણ શિક્ષકને છોડવામાં નહીં આવે અને કોઈની ભલામણ પણ નહીં ચાલે. BZ પ્રકરણના શિક્ષકોની પણ સંડોવણી હોવાની પ્રાથમિક માહિતી મળી છે. સ્કીમમાં કોઈ શિક્ષણ જોડાયેલ હશે તો તેમને છોડવામાં નહીં આવે. શિક્ષક એન્જટ કે સભ્ય બન્યો હશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ તપાસના અંતે શિક્ષણ વિભાગ પણ કાર્યવાહી કરશે. પોલીસ જેના નામો આપશે તેમની સામે કાર્યવાહી થશે.’
શિક્ષકોની સંડોવણી સમયે આવશે તો થશે કાર્યવાહી - જિલ્લા શિક્ષણાધિકારી
ભૂપેન્દ્રસિંહ ઝાલાના BZ ગ્રુપના કરોડો રૂપિયાના કૌભાંડ સરકારી અધિકારીઓ, શિક્ષકો, પોલીસ અધિકારીઓ અને મોટામોટા બિઝનેસ ગ્રુપે રોકાણ કર્યાની આશંકા સેવાઈ રહી છે. સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે આ કૌભાંડમાં મોટાભાગે શિક્ષકોએ રોકાણ કર્યું હતું. જો કે આ મામલે હજુ સુધી કોઈ રોકાણકાર સામે આવ્યો નથી. શિક્ષકોના રોકાણ અને એજન્ટની ભૂમિકા મામલે સાબરકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારી કેયુર ઉપાધ્યાયની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમને કહ્યું છે કે, હજુ સુધી કોઈ શિક્ષકની ફરિયાદ સામે આવી નથી. શિક્ષક એજન્ટની ભૂમિકા ભજવતા હોવાનું સામે નથી આવ્યું. જો ફરિયાદ સામે આવશે તો તપાસ હાથ ધરાશે.’
11 કંપનીઓ રડારમાં, 27 બેન્ક એકાઉન્ટ ફ્રીઝ
CID ક્રાઇમની તપાસમાં સામે આવ્યું છે કે મહાઠગ અને આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાએ રૂપીયાની હેરફેર માટે જુદી જુદી 11 જેટલી કંપનીઓ બનાવી હતી. ભુપેન્દ્રસિંહ ઝાલાએ જુદી જુદી બેંકોમાં 27 જેટલા બેન્ક એકાઉન્ટ ખોલાવ્યા હતા જેમાં શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે. CID ક્રાઇમની ટીમે આ તમામ એકાઉન્ટ હાલ તો ફ્રીઝ કરી તપાસ શરુ કરી છે. આ એકાઉન્ટ્સમાં રહેલી દોઢ કરોડ રૂપિયા જેટલી રકમ પણ ફ્રીઝ કરવામાં આવી છે. આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાએ 82 કરોડમાં જે કોલેજ ખરીદી હતી તે GROW MORE FAUNDATION ટ્રસ્ટી તરીકે કાર્યરત છે. જેને લઈને પણ હાલ તપાસ શરુ કરવામાં આવી છે.
ભૂપેન્દ્રસિંહ ઝાલા વિદેશ ભાગી ન જાય તે માટે લુકઆઉટ નોટિસ
સાબરકાંઠા, વડોદરા, ગાંધીનગર અને રાજસ્થાનમાં દરોડા પાડીને અનેક મહત્ત્વના દસ્તાવેજ કરીને CID ક્રાઇમે વિધિવત ફરિયાદ નોંધવા સાથે આરોપી અને ભાજપનો કાર્યકર ભૂપેન્દ્રસિંહ ઝાલા વિદેશ ભાગી ન જાય તે માટે L.O.C એટલે કે લુકઆઉટ સર્ક્યુલર જારી કર્યું છે.

