Gujarat news: આજથી એક લાખથી વધુ આંગણવાડી-આશા વર્કર 3 દિવસ હડતાળે, જાણો શું છે માંગ

રાજ્યની આંગણવાડી કાર્યકર બહેનો, આશા વર્કરો અને હેલ્પર બહેનોએ પોતાની પડતર માંગણીઓ સંદર્ભે સરકાર સામે આંદોલનનું રણશિંગું ફૂંક્યું છે. આ પ્રશ્નોના નિરાકરણ માટે અત્યાર સુધીમાં રાજ્ય સરકાર સાથે 27 જેટલી બેઠકો યોજાઈ ચૂકી છે, તેમ છતાં પગાર વધારા સહિતના અન્ય મુખ્ય પ્રશ્નો હજુ પણ ઉકેલાયા નથી. આખરે કોઈ સકારાત્મક પરિણામ ન મળતા, રાજ્યની એક લાખથી વધુ આંગણવાડી બહેનોએ 18મી તારીખથી ત્રણ દિવસ સુધી કામકાજથી અળગા રહી હડતાળ પર જવાનું એલાન કર્યું છે.
લાંબા સમયથી વિરોધ પ્રદર્શન, છતાં સરકારનું વલણ યથાવત
છેલ્લા લાંબા સમયથી આંગણવાડી બહેનો પોતાના પડતર પ્રશ્નોને લઈને આંદોલન અને વિરોધ પ્રદર્શન કરી રહી છે, પરંતુ હજુ સુધી તેનો કોઈ કાયમી ઉકેલ આવી શક્યો નથી. ગત તા. 10 માર્ચ, 2025ના રોજ મુખ્યમંત્રીએ આ બાબતે હૈયાધારણ આપી હોવા છતાં, અત્યાર સુધી એક પણ માંગણી પૂરી કરવામાં આવી નથી.
આંગણવાડી બહેનોની મુખ્ય માગ
આંગણવાડી બહેનોની મુખ્ય માંગણી છે કે, વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને તેમને સન્માનજનક વેતન મળવું જોઈએ અને ડિજિટલ કામગીરીને સરળ બનાવવા માટે નવા મોબાઈલ ફોન આપવામાં આવે.આંગણવાડી બહેનોની મુખ્ય માંગણીઓ પૈકી નિવૃત્તિની વયમર્યાદા વધારીને 60 વર્ષ કરવી અને કામગીરી માટેની મોબાઈલ એપ બંધ કરવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આહાર અને અન્ય ખર્ચના બિલોનું સમયસર પેમેન્ટ તથા એડવાન્સ રકમની વ્યવસ્થા કરવાની પણ માંગ કરવામાં આવી છે, જેથી આંગણવાડી બહેનોએ પોતાના ખિસ્સામાંથી ખર્ચ ન કરવો પડે.

