કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય: ગુજરાતના 18 અધિકારીઓને IAS તરીકે બઢતી આપી

કેન્દ્ર સરકારે ગુજરાત રાજ્ય વહીવટી સેવા (GAS) ના 18 અનુભવી અધિકારીઓને ભારતીય વહીવટી સેવા (IAS) કેડરમાં બઢતી આપવાનો એક મહત્વનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયના તાલીમ વિભાગ (DoPT) દ્વારા 25 જૂન 2026ના રોજ આ અંગેનું સત્તાવાર ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. હાલ આ તમામ અધિકારીઓની નિમણૂક પ્રોબેશન (અજમાયશી સમયગાળો) હેઠળ IAS કેડરમાં કરવામાં આવી છે. આ અધિકારીઓની સિનિયોરિટી અને એલોટમેન્ટનું વર્ષ નક્કી કરવા માટે કેન્દ્ર સરકારે ગુજરાત સરકાર પાસે જરૂરી દરખાસ્ત મંગાવી છે.
17 અધિકારીઓને IASમાં નિયુક્ત
કેન્દ્ર સરકારના હુકમ અનુસાર નોટિફિકેશન મુજબ વર્ષ 2025 દરમિયાન ખાલી પડેલી જગ્યાઓ સામે સિલેક્ટ લિસ્ટ-2025માંથી 17 અધિકારીઓને IASમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સિવાય અમદાવાદ બેન્ચના ટ્રિબ્યુનલના આદેશ મુજબ લિસ્ટ-2024માંથી વધુ એક અધિકારીને પણ IAS કેડરમાં સ્થાન આપવામાં આવ્યું છે.

મહત્વની શરત
કેન્દ્ર સરકારના નોટિફિકેશન મુજબ, આ તમામ નિયુક્તિઓ હાલ ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ રહેલી કેટલીક વિશેષ નાગરિક અરજીઓના અંતિમ ચુકાદાને આધીન રહેશે. અર્થાત, કોર્ટના આખરી નિર્ણય બાદ જરૂર જણાશે તો આ પ્રક્રિયામાં આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવી શકે છે.
વહીવટી તંત્રને મળશે વેગ
રાજ્ય સેવામાં લાંબા સમયથી પ્રશંસનીય ફરજ બજાવતા આ અધિકારીઓને ઉચ્ચ સ્થાન મળવાથી ગુજરાતના વહીવટી માળખાને મોટો ફાયદો થશે. બઢતી પામેલા આ અધિકારીઓ હવે રાજ્ય તેમજ કેન્દ્ર સરકારના ઉચ્ચ સ્તરીય નીતિ-વિષયક અને વહીવટી પદો પર પોતાની સેવાઓ આપી શકશે, જેનાથી સરકારી કામગીરીની ગતિશીલતામાં વધારો થશે.

