ગુજરાતના રાજ્યકક્ષાના અન્ન પુરવઠા મંત્રી ભીખુસિંહની તબિયત લથડી, યુ.એન. હોસ્પિટલમાં કરાયા દાખલ

ગાંધીનગરથી એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. જેમાં રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારની તબિયત લથડી છે. રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી અને ત્યારબાદ તેમને તત્કાળ સારવાર માટે યુ.એન.મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ભીખુસિંહ પરમારને છાતીમાં દુખાવો થવાની ફરિયાદ કરી હતી.
સૂત્રો પાસેથી મળતા સમાચાર મુજબ ભીખુસિંહ પરમારનું અચાનક બ્લડ પ્રેશર વધી જતાં તેમને તાત્કાલિક યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હાલ તેમની સારવાર ચાલી રહી છે.
રાજ્યકક્ષાના અન્ન અને પુરવઠા મંત્રી 70 વર્ષીય ભીખુસિંહ પરમાર ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને સવારે ચા-નાસ્તો કરી રહ્યા હતા ત્યારે એકાએક છાતીમાં દુઃખાવાની ફરિયાદ કરી હતી. એકાએક બ્લડ પ્રેશર વધી જતા તેઓને તાત્કાલિક યુએન મહેતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ડોક્ટરોની નિગરાનીમાં તેમને ઇમરજન્સી સારવાર અપાઈ રહી છે. MRI કર્યા બાદ આગળની સારવાર હાથ ધરાશે.
ભીખુસિંહ પરમારની રાજકીય સફર સંઘર્ષમય રહી છે. ધારાસભ્ય બનવા માટે 27 વર્ષ સુધી રાહ જોવી પડી હતી. 1995માં પ્રથમવાર મોડાસા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા પણ તેની હાર થઈ હતી. આ પછી વર્ષ 2002ની વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ તરીકે અને 2007માં બસપાની ટિકિટ પર મોડાસા બેઠક પરથી ધારાસભ્યની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું, પણ તેમાં પણ નસીબે સાથ ન આપતા ચૂંટણી હારી ગયા હતા. ત્યારબાદ ભાજપે 2017ની ચૂંટણીમાં મોડાસા બેઠક પરથી ભીખુસિંહ પરમારને ટિકિટ આપી હતી, જો કે 1640 વોટના અંતરે હારી ગયા હતા.
આ પછી ભાજપે ફરી ભીખુસિંહને જ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં મોડાસા બેઠક પરથી ટિકિટ આપી હતી. આ વખતે તેઓ જીતીને 27 વર્ષની રાજકીય સફરમાં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. હાલ ભીખુસિંહ પરમાર ગુજરાત સરકારમાં કેબિનેટમાં રાજ્ય કક્ષાના મંત્રી અને અન્ન નાગરિક પુરવાઠા વિભાગની જવાબદારી સંભાળી રહ્યા છે.
ભીખુસિંહે સરપંચ બન્યા બાદ પરિવારનું ગુજરાન ચલાવવા ગુજરાત એસટી વિભાગમાં ત્રણ વર્ષ સુધી બસોની સાફ સફાઈ કરવાની કામગીરી કરી હતી. ત્યારબાદ વર્ષ 1981માં હેલ્પર તરીકેની નોકરી છોડી દીધી હતી. નોકરી છોડ્યા બાદ માઇનિંગ ક્ષેત્રે લેબર તરીકેની નોકરી શરૂઆત કરી હતી.

