Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Gujarat Mid-Day Meal Crisis: The nutritious Sukhdi scheme provided every Thursday has been completely stopped!

ગુજરાત મધ્યાહ્ન ભોજન કટોકટી: દર ગુરુવારે અપાતી પૌષ્ટિક સુખડીની યોજના સદંતર બંધ!

Timeછેલ્લું અપડેટ : 27 Mar 2026
લાઇવ ટીવીGoogle News
ગુજરાત મધ્યાહ્ન ભોજન કટોકટી: દર ગુરુવારે અપાતી પૌષ્ટિક સુખડીની યોજના સદંતર બંધ!
સોર્સ : AI

Gujarat Mid-Day Meal Crisis: રાજ્ય સરકાર એક તરફ 'કુપોષણ મુક્ત ગુજરાત'ના દાવા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે, છતાં વાસ્તવિકતા એ છે કે આજે પણ રાજ્યમાં 2 લાખ બાળકો કુપોષિત છે. આવી ગંભીર સ્થિતિ હોવા છતાં, રાજ્યની 32 હજારથી વધુ શાળાઓમાં બાળકોને આપવામાં આવતા અલ્પહારના પ્રમાણમાં ઘટાડો કરવામાં આવ્યો છે. એક બાજુ મંત્રીઓ અને અધિકારીઓના સરકારી કાર્યક્રમોમાં 400થી 500 રૂપિયાની મોંઘી ડિશોની જ્યાફતો ઉડે છે, જ્યારે બીજી બાજુ ધોરણ 8 સુધીના બાળકોને માત્ર 5 રૂપિયાની મર્યાદામાં એક-એક ગ્રામ જોખી-તોળીને નાસ્તો આપવામાં આવે છે, જે સરકારની બેવડી નીતિ સામે ગંભીર સવાલો ઉભા કરે છે.

App Store

એનજીઓને ચૂકવણી વધારે અને ભોજન ઠંડું

વર્ષ 2024માં રાજ્યની 32,277 શાળાઓના આશરે 38 લાખ વિદ્યાર્થીઓને બપોરના ભોજન ઉપરાંત વધારાનો અલ્પહાર આપવા માટે 'મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પહાર યોજના' શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને કુપોષણથી બચાવવાનો છે, જે અંતર્ગત બાલવાટિકાથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્ય શરૂ થાય તે પહેલાં પ્રાર્થના સમયે પૌષ્ટિક નાસ્તો આપવામાં આવે છે. આ અલ્પહાર માટે વિદ્યાર્થીદીઠ દૈનિક 5 રૂપિયાની રકમ નક્કી કરવામાં આવી હતી, પરંતુ સતત વધતી જતી મોંઘવારી છતાં સરકાર દ્વારા આ બજેટમાં હજુ સુધી કોઈ વધારો કરવામાં આવ્યો નથી.

ભોજનની ગુણવત્તા પર સવાલ

પીએમ પોષણ યોજના અંતર્ગત 5000 જેટલા કેન્દ્રો પર ભોજન પહોંચાડવા માટે એનજીઓને જવાબદારી સોંપવામાં આવી છે, પરંતુ આ બાબતે સરકારની બેવડી નીતિ સ્પષ્ટપણે જોવા મળી રહી છે. જે શાળાઓમાં સ્થાનિક સ્તરે જ રસોઈ તૈયાર થાય છે, ત્યાંના સંચાલકોને એનજીઓની સરખામણીએ ઓછી રકમ ચૂકવવામાં આવે છે. વળી, સેન્ટ્રલાઈઝ્ડ કિચનમાંથી તૈયાર થઈને આવતું ભોજન બાળકો સુધી પહોંચે ત્યાં સુધીમાં સાવ ઠંડું પડી ગયું હોય છે. આ ઉપરાંત, શાળાઓમાં ભોજન બનાવતા કૂક અને હેલ્પરને આપવામાં આવતું વેતન પણ લઘુતમ વેતન ધારાના નિર્ધારિત દર કરતા ઓછું હોવાનું સામે આવ્યું છે.

દર ગુરુવારે અપાતી સુખડીની યોજના બંધ

વર્ષ 2013-14માં પીએમ પોષણ યોજના હેઠળ અઠવાડિયામાં એક દિવસ સુખડી આપવાની યોજના શરૂ કરવામાં આવી હતી, જેના માટે 16 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. ત્યારબાદ વર્ષ 2024માં આ રકમમાં 14 કરોડનો વધારો કરવામાં આવતા, અંદાજે કુલ 30 કરોડના ખર્ચે દર ગુરુવારે બાળકોને પૌષ્ટિક સુખડી પીરસવામાં આવતી હતી. જોકે, આ મહત્ત્વની યોજનાને હાલમાં સદંતર બંધ કરી દેવામાં આવી છે.

મોટાં બાળકોને ભૂખ્યા રહેવાનો વારો

શાળાની શરૂઆત સમયે આપવામાં આવતા પૌષ્ટિક નાસ્તાના પ્રમાણમાં મોટો કાપ મૂકવામાં આવ્યો છે. રોજના 50 ગ્રામ નાસ્તાના બદલે હવે માત્ર 38 ગ્રામ નાસ્તો આપવાનો આદેશ થતાં બાળકોને ભાગે માંડ એક ચમચો ચાટ અથવા સુખડીના બે બટકા જ આવશે. નાસ્તાનું આ ઓછું પ્રમાણ ધોરણ 5થી 7ના મોટા બાળકો માટે સાવ અપૂરતું માનવામાં આવે છે.

અલ્પહાર માટે નિર્ધારિત 5 રૂપિયાની મર્યાદામાં અગાઉ 50 ગ્રામ નાસ્તો આપવામાં આવતો હતો, જે હવે વિવિધ બહાના હેઠળ ઘટાડીને 6 દિવસના સરેરાશ 46.83 ગ્રામ કરી દેવામાં આવતા ભારે આશ્ચર્ય ફેલાયું છે. આ સ્થિતિમાં, ઓલ ગુજરાત રાજ્ય મધ્યાહ્ન ભોજન કર્મચારી મંડળ દ્વારા અલ્પહારની રકમ વિદ્યાર્થીદીઠ 5 રૂપિયાથી વધારીને 7 રૂપિયા કરવાની પ્રબળ માંગણી કરવામાં આવી છે.