માછીમારો માટે મોટી રાહત: ડીઝલના ભાવમાં થયેલો રૂપિયા 22.43નો તોતિંગ વધારો સરકારે ખેંચ્યો પાછો

ગુજરાતના સાગરખેડૂતો અને માછીમારો માટે રાજ્ય સરકાર દ્વારા એક અત્યંત મહત્ત્વનો અને રાહત આપનારો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત પેટ્રોલિયમ દ્વારા માછીમારી બોટ માટે વપરાતા ડીઝલના ભાવમાં જે રૂપિયા 22.43નો તોતિંગ વધારો કરવામાં આવ્યો હતો, તેને હવે સત્તાવાર રીતે પાછો ખેંચી લેવામાં આવ્યો છે.
સરકારની સક્રિયતા
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ મત્સ્યોદ્યોગ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ ગંભીર મુદ્દે કેન્દ્ર સરકારને તાત્કાલિક રજૂઆત કરી હતી. માછીમારોની આજીવિકા પર પડતી માઠી અસરને ધ્યાને રાખીને લેવાયેલા આ ત્વરિત નિર્ણયના પરિણામે હવે રાજ્યના માછીમારોને બોટ માટે અગાઉ નક્કી થયેલા રાહત દરે જ ડીઝલ પ્રાપ્ત થશે.
આભારની લાગણી
આ નિર્ણયથી રાજ્યના હજારો માછીમાર પરિવારોને આર્થિક પાયમાલીમાંથી બચાવી લેવામાં આવ્યા છે. માછીમારોના હિતમાં આટલી ઝડપથી નિર્ણય લેવા બદલ મત્સ્યોદ્યોગ મંત્રીશ્રીએ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.
ડીઝલના ભાવમાં વધારાને કારણે ગુજરાતના દરિયાકાંઠે વસતા માછીમારોને આર્થિક ફટકો સહન કરવો પડશે. જેથી માછીમારોએ તેમની બોટ માટેના ડીઝલના ભાવમાં કરાયેલા વધારો પાછો ખેંચવા ઉગ્ર માગ કરી છે. જેને લઈને રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને રજૂઆત કરી છે. કેન્દ્ર સરકારે આ રજૂઆત સ્વીકારીને ઓઈલ કંપનીઓને માછીમારો માટે આ ભાવ વધારો પાછો ખેંચવા સૂચના આપી હોવાની માહિતી મળી છે.
માછીમારી બોટ માટે વપરાતા ડીઝલનો ભાવ વધારો પાછો ખેંચવા માગ
ગુજરાત સરકારના મત્સ્ય સંઘ (GFCCA) દ્વારા માછીમારોને ડિસ્કાઉન્ટ ભાવે ડીઝલ મળી રહે તે માટે ભારત પેટ્રોલિયમ (BPCL) સાથે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. જો કે, તાજેતરમાં ભારત પેટ્રોલિયમ દ્વારા માછીમારો માટેના ડીઝલના ભાવમાં લિટર દીઠ રૂ.22.43નો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
આ મામલે વિવિધ માછીમારી સંસ્થાઓ, સ્થાનિક આગેવાનો અને ધારાસભ્યએ રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રીને ભાવ વધારો પાછો ખેચવામાં આવે તેવી માંગણી કરી હતી. જેથી ગુજરાતના મત્સ્યોદ્યોગ મંત્રીએ આ બાબતે કેન્દ્ર સરકાર અને પેટ્રોલિયમ મંત્રાલયમાં રજૂઆત કરી હતી. તેમણે દલીલ કરી હતી કે માછીમારોને 'બલ્ક કન્ઝ્યુમર' ને બદલે રિટેલ ગ્રાહકોની સમકક્ષ ગણીને રાહત આપવી જોઈએ.
જાફરાબાદ માછીમાર એસોસિએશનનો વિરોધ અને નિર્ણય
આ ભાવ વધારા અંગે જાફરાબાદ માછીમાર એસોસિએશનના અગ્રણી કનૈયાલાલ ખારવાએ જણાવ્યું હતું કે, "BPCL સાથે થયેલા ટેન્ડર મુજબ માછીમારોને રાહત દરે ડીઝલ મળવું જોઈએ, પરંતુ અચાનક લિટર દીઠ ₹22.43નો વધારો ઝીંકી દેવાતા માછીમારોની હાલત કફોડી થઈ ગઈ હતી. આ ભાવ વધારાના વિરોધમાં માછીમારોએ BPCL પાસેથી ડીઝલ લેવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું હતું. અને આ મુદ્દે સરકારને ઉગ્ર રજૂઆત કરી હતી. જોકે, હવે સરકારની રજૂઆત બાદ જો આ ભાવ વધારો સત્તાવાર રીતે પાછો ખેંચવામાં આવશે, તો જ અમે ફરીથી ત્યાંથી ડીઝલ ભરાવવાનું શરૂ કરીશું."
ડીઝલનો ભાવ વધારો પરત ખેંચવા કેન્દ્રની સૂચના
મળતી માહિતી પ્રમાણે કેન્દ્ર સરકારે ગુજરાતના માછીમારોની વાજબી રજૂઆતને સ્વીકારી ભારત પેટ્રોલિયમને માછીમારોની બોટમાં વપરાતા ડીઝલના ભાવમાં કરાયેલો રૂ.22.43નો વધારો પાછો ખેંચવા સૂચના આપી છે. જેથી રાજ્યના માછીમારોને અગાઉના જૂના રાહત દરે (સબસિડી વાળા ભાવે) જ ડીઝલ પ્રાપ્ત થઈ શકે.

