સરકારનો વટહુકમ: શ્રમિક પાસેથી 9ને બદલે 12 કલાક કામ લેવાની સંપૂર્ણ છુટ, ઉદ્યોગપતિઓ અને કારખાના માલિકો રાજીના રેડ!

ગુજરાત સરકારે રોજિંદા કામના કલાકોના નિયમોમાં ફેરફાર કર્યો છે. જે મુજબ સપ્તાહના 48 કલાકની મર્યાદામાં ઉદ્યોગોને શ્રમિકો પાસેથી દિવસના 9ને બદલે 12 કલાક સુધી કામ કરાવવાની છુટ આપવામાં આવી છે. જેના પગલે કામદાર સંગઠનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. કારખાના-ફેક્ટરી, ઉદ્યોગોમાં ગરીબ શ્રમિકોને 8 કલાક કામ કરવાનું રોજનું વેતન રૂપિયા 497 મળે છે. એક કલાકની રિસેસ સાથે 9 કલાકની પાળીમાં હજારો કામદારો કામ કરી રહ્યા છે,
વટ હુકમ બહાર પાડીને ફેક્ટરી એક્ટમાં સુધારો કર્યો
ગુજરાત સરકારે વટ હુકમ બહાર પાડીને ફેક્ટરી એક્ટમાં સુધારો કર્યો છે. હવે શ્રમિક-કામદારઓએ અઠવાડિયામાં એક દિવસ 12 કલાક ફરજિયાત કામ કરવું પડશે. મહિલા શ્રમિકોને લેખિતમાં સંમતિના આધારે કામ લઈ શકાશે. રાજ્ય સરકારના આ નિર્ણયને લીને કામદાર સંગઠનોનો ગુસ્સો સાતમા આસમાને છે. તેમનું કહેવું છે કે એવું તો શું થયું કે, ગરીબ કામદારોના કલાકોમાં વધારો કરવાનો વટહુકમ રાતો રાત કરવો પડ્યો. આ અગાઉ આકરી ગરમીમાં હીટસ્ટ્રોકથી બચવા માટે શ્રમિકો માટે જરૂરી પગલાં લેવા સરકારને રજૂઆત કરાઈ હતી, ત્યારે આ મુદ્દે સરકારે સહેજ પણ સંવેદના દાખવી ન હતી.
ગરીબોની મસિહા હોવાનો દાવો કરનાર ખુદ ગુજરાત સરકારે
હકીકતમાં ગરીબોની મસિહા હોવાનો દાવો કરનાર ખુદ ગુજરાત સરકારે જ ઉદ્યોગ-કારખાના, ફેક્ટરી માલિકોને મજબૂર શ્રમિકો-કામદારોનું શોષણ કરવા પીળો પરવાનો આપી દીધો છે. ગુજરાત સરકારના આ નિર્ણયની ચારેકોર આકરી ટીકા થઈ રહી છે. ત્યારે કામદાર સંગઠનોએ મત વ્યક્ત કર્યો કે આ વટહુકમ ગરીબ શ્રમિકોના સ્વાસ્થ્ય સાથેની રમત છે. એકધારા કામને લીધે તેમના સ્વાસ્થ્ય જોખમાશે. આ ઉપરાંત વધુ કામને કારણે રોજગારી ઘટશે, સરકારે આ નિર્ણય માત્ર મૂડીપતિ-ઉદ્યોગપતિઓને રાજી કરવા લીધો છે.

