Gujarat news: મનરેગામાં ગરીબોનું ભરપૂર શોષણ, મજૂૂરોને ઓછું વેતન પણ મંત્રીપુત્ર-મળતિયાઓને જ ફાયદો

ગુજરાતમાં આદિવાસી-પછાત વિસ્તારોમાં મનરેગા યોજનાનો મૂળ હેતુ બર આવ્યો હોય તેમ લાગતું નથી કેમ કે ગરીબ મજૂરોને પુરતી મજુરી પણ મળતી નથી. સરકારી યોજના મનરેગામાં પણ ગરીબોનું શોષણ થતું હોય તેમ લાગી રહ્યું છે. અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં મનરેગામાં ઓછું વેતન ચૂકવાઈ રહ્યું છે. આદિવાસી-પછાત વર્ગના ઉત્કર્ષના નામે સરકાર મગરાના આસું સારી રહી છે. વાસ્તવિક્તા એછે કે મનરેગા જેવી સરકારી યોજનાનો લાભ ગરીબો સુધી પહોંચ્યો હોત તેમ લાગતું નથી. ખુદ કેન્દ્ર સરકારનો રિપોર્ટ છે કે ગુજરાતમાં મનરેગાના ગરીબ લાભાર્થીઓની સંખ્યા પણ ઘટી રહી છે.
ગરીબ મજૂરોને જે દૈનિક મજૂરી મળવી જોઈએ તે પુરતી નથી
આ ઉપરાંત મનરેગામાં ગરીબ મજૂરોને જે દૈનિક મજૂરી મળવી જોઈએ તે પુરતી નથી. લોકસભામાં રજૂ થયેલા આંકડામુજબ હરિયાણામાં મનરેગાના મજૂરોને રોજના રૂપિયા 374 ચુકવાય છે. ગોવામાં રૂપિયા 356, કર્ણાટકમાં 349 કેરેલામાં રૂપિયા 346 પંજાબમાં 328 આંદામાન-નિકોબારમાં 329 દીવમાં 324 પોડિચેરીમાં 319 અને મહારાષ્ટ્રમાં 297 દૈનિક વેતન ચૂકવાય છે.
મનરેગા યોજનાનો મંત્રીપુત્ર-મળતિયાઓએ જ ભરપૂર ફાયદો ઉઠાવ્યો
એક બાજુ ગરીબ આદિવાસી પછાતોના મસિહા હોવાનો સરકાર દાવો કરી રહી છે, જ્યારે બીજી બાજુ સરકાર મનરેગાના વેતનમાં વધારો કરતી નથી. અન્ય રાજ્યોમાં મનરેગાની મજૂરી 300થી વધુ છે. જ્યારે વાઈબ્રાન્ટ- વિકસીત ગુજરાતમાં મનરેગામાં રોજ માત્ર 280 ચૂકવી જાણે ગરબી મજૂરો પર સરકાર ઉપકાર કરતી હોય તેમ લાગી રહ્યું છે. અત્યારે તો ગુજરાતમાં મનરેગા યોજનાનો મંત્રીપુત્ર-મળતિયાઓએ જ ભરપૂર ફાયદો ઉઠાવ્યો છે. ગરીબો તેનો લાભ ઉઠાવી શક્યા નથી.
મજૂરોની ખોટી હાજરી દેખાડી પૈસા ઉપાડી લેવાયા
નર્મદા-દાહોદ જિલ્લામાં મનરેગામાં મોટાપાયે ગેરરીતી આચરી લાખો રૂપિયા ખિસ્સામાં સેરવી લેવાયાં છે. એવું જાણવા મળ્યું છેકે સમગ્ર કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરથી ટીમ નર્મદા પહોંચી રહી છે, કેમકે ડ્રોન મોનિટરીંગમાં એવું માલુમ પડ્યું છે કે મજૂરો તો ડોકાયાં જ નથી તેમ છતાંય તેમની હાજરી દેખાડી નાણાં લઈ લેવાયા છે. મનરેગા યોજના હેઠળ તળાવ ઉંડા કરવા રસ્તા નાળા બનાવવાં સહિતના કામો કરવા માટે મજૂરોની ખોટી હાજરી દર્શાવી નાણાંનુ ચૂકવણું કરી દેવાયું છે.

