રાજ્યના DGPનો મોટો નિર્ણય, ડ્રગ્સના કેસમાં બેદરકારી દાખવનાર PI-PSI સીધા થશે સસ્પેન્ડ

ગુજરાતના શહેરોમાં સ્થાનિક પોલીસ સ્ટેશનની હદમાં ચાલતા ડ્રગ્સના કારોબાર સામે મોટાભાગના સ્થાનિક પોલીસ અધિકારીઓ કોઈ નક્કર કાર્યવાહી કરતા ન હોવાનું સામે આવ્યું હતું. અત્યાર સુધી જે-તે જિલ્લા અને શહેરની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) કે ક્રાઈમ બ્રાંચ દ્વારા જ મોટેભાગે NDPS (નર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ)ના કેસ નોંધવામાં આવતા હતા. આ બાબતને ગંભીરતાથી લઈને રાજ્યના ડીજીપીએ એક મહત્વનો નિર્ણય લીધો છે. હવેથી NDPSના કેસ નોંધવાની કામગીરી સ્થાનિક પોલીસે પણ ફરજિયાત કરવાની રહેશે. આ ઉપરાંત, જો અન્ય કોઈ એજન્સી દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનની હદમાં ડ્રગ્સ સંબંધિત દરોડો પાડવામાં આવશે, તો તેની સીધી જવાબદારી સ્થાનિક પોલીસ અધિકારીની રહેશે.
ડ્રગ્સના કેસમાં બેદરકારી દાખવનાર PI-PSI સીધા થશે સસ્પેન્ડ
રાજ્યમાં અમદાવાદ સહિતના મુખ્ય શહેરોમાં ડ્રગ્સ સંબંધિત કેસોમાં ચિંતાજનક વધારો થતાં રાજ્ય પોલીસ વડાએ આજે બુધવારે કડક નિર્ણય લીધો છે. ગાંધીનગર ખાતે યોજાયેલી એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાજ્યના તમામ જિલ્લાઓ અને શહેરોના પોલીસ વડા તેમજ પોલીસ કમિશનરોને NDPS કેસ અનુસંધાનમાં કોઈપણ પ્રકારની શિથિલતા ન રાખવા અને સૌથી આકરા પગલાં લેવા સૂચના આપી હતી. સામાન્ય રીતે શહેરો કે જિલ્લાઓમાં ડ્રગ્સના દરોડા પાડવાની જવાબદારી ક્રાઈમ બ્રાંચ કે SOGની હોવાના કારણે સ્થાનિક પોલીસ ડ્રગ્સ વિરોધી કાર્યવાહીમાં ઓછી સક્રિય હોવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા હતા. હવે સ્થાનિક પોલીસની જવાબદારી નક્કી કરતાં ડીજીપીએ જણાવ્યું છે કે, જો કોઈ પોલીસ સ્ટેશનની હદમાં અન્ય બાહ્ય એજન્સી દ્વારા ડ્રગ્સ અંગે દરોડો પાડવામાં આવશે, તો જે-તે પોલીસ સ્ટેશનના PSI કે PI જવાબદાર ગણાશે. તેમની વિરૂદ્ધ ફરજમાં બેદરકારી દાખવવા બદલ સસ્પેન્શન સુધીના કડક પગલાં લેવામાં આવી શકે છે.
લોકલ પોલીસ સ્ટેશનોની જવાબદારી નક્કી
અત્યાર સુધી ડ્રગ્સના નાના કેસોમાં પોલીસ દ્વારા શરૂઆતમાં માત્ર રૂટિન તપાસ કરીને કામગીરી સમેટી લેવાતી હતી, જેના પરિણામે ડ્રગ્સના મુખ્ય નેટવર્ક સુધી પહોંચી શકાતું નહોતું. હવેથી દરેક પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ અધિકારીની એ જવાબદારી રહેશે કે તેઓ ડ્રગ્સના મૂળ નેટવર્ક સુધી પહોંચે. આ માટે તેઓ સ્થાનિક ગુપ્તચર એજન્સીઓની મદદ પણ લઈ શકશે.
ડ્રગ્સની લતનો ગેરલાભ ઉઠાવીને કેટલાક ડ્રગ માફિયાઓ યુવાનોને આ કાળા કારોબારમાં ધકેલી દે છે, જેના કારણે કેટલાય યુવાનોની જિંદગી બરબાદ થઈ જાય છે. નશાના ચંગુલમાં ફસાયેલા આવા યુવાનોને બહાર લાવવા અને તેમનું પુનર્વસન કરાવવા માટે પણ પોલીસે ખાસ આયોજન કર્યું છે. જેમાં યુવાનો નશો છોડી શકે તે માટે નિષ્ણાતોની મદદથી કાઉન્સેલિંગ કરવામાં આવશે અને તેમને સમાજની મુખ્ય ધારામાં પાછા લાવવા માટે સઘન કામગીરી કરાશે.

