Dwarka news: જન્માષ્ટમીના દિવસે જગત મંદિરમાં ક્યારે કરી શકાશે દર્શન? જાણો મંગળા આરતીનો સમય

Dwarka news: શ્રી કૃષ્ણ જન્માષ્ટમીને ગણતરીનાં દિવસો બાકી છે ત્યારે જગત મંદિર દ્વારકા ખાતે જન્માષ્ટમી નિત્યક્રમ પૂજારીઓ દ્વારા જાહેર કરાયો છે, જેમાં જન્માષ્ટમીનાં દિવસે વહેલી સવારે 6:00 વાગે જગત મંદિર ખાતે મંગલા આરતી થશે અને બપોરનાં 1 થી 5 મંદિર બંધ રહેશે. રાતે 12 વાગે જગત મંદિર દ્વારકા ખાતે સૌ પૂજારી પરિવાર સહીત લાખો વૈષ્ણવો કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી વ્હલાના વધામણાં કરશે.
જન્માષ્ટમીનાં દિવસે સવારે 6:00 વાગે જગત મંદિર ખાતે મંગલા આરતી
કૃષ્ણ જન્મોત્સવનો મહિમા દ્વારકામાં અનેરો હોય છે, ત્યારે લાખો કૃષ્ણ ભક્તો જન્માષ્ટમી નિમિતે ભગવાન શ્રી કૃષ્ણની નગરી દ્વારકા ખાતે આવતા હોય છે. 16 મી ઓગસ્ટ જન્માષ્ટમીનાં દિવસે વહેલી સવારે 6:00 વાગે જગત મંદિર ખાતે મંગલા આરતી થશે, આરતી સાથે જ ભક્તો માટે પ્રભુનાં દ્વાર ખુલ્લા થશે. સવારે 6 થી 8 મંગલા દર્શન ખુલ્લા રહેશે જયારે 8 થી 9 ઠાકોરજીને ખુલ્લા પડદે અભિષેક થશે, જેના દર્શન પણ ભક્તો કરી શકશે. સવારે 9 વાગે પ્રભુને શણગાર કરવામાં આવશે અને 9:30 વાગે શણગાર દર્શનનો લ્હાવો લઇ શકાશે તેમજ 10:30 વાગે ઠાકોરજીની શૃંગાર આરતી અને બપોરના 12 વાગે પ્રભુને રાજભોગ ધરવામાં આવશે.
બપોરનાં 1:00 વાગ્યાં સુધી સવારનાં નિત્યક્રમ મુજબ દર્શન કરી શકાશે. બપોરનાં 1 થી 5 અનોસર એટલે કે મંદિર બંધ રહેશે. સાંજે 5:00 વાગે ઉત્થાપન દર્શન, સાંજે 7:00 વાગે સંધ્યા દર્શન તેમજ 7:30 વાગે સંધ્યા આરતી કરવામાં આવશે. સાંજે 8:30 વાગે શયન આરતી તેમજ રાત્રીના 9:00 વાગે પ્રભુને શયન કરાવવામાં આવશે. રાતે 10 વાગે પ્રભુને ભક્તિ ભાવે જગાડી બંધ પડદે મંગલા આરતી તેમજ જન્મ સ્નાનની પૂજા કરવામાં આવશે અને બરાબર રાતે 12 વાગે જગત મંદિર દ્વારકા ખાતે સૌ પૂજારી પરિવાર સહીત લાખો વૈષ્ણવો કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી વ્હલાના વધામણાં કરશે.

