VIDEO: ૫૦૦ કિલોમીટરની પદયાત્રા ખેડીને કિશાન અધિકાર યાત્રા આજે દ્વારકાધીશના શરણે
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે કોંગ્રેસ પ્રેરિત ‘કિશાન અધિકાર યાત્રા’ પોતાના ૧૯મા દિવસે પ્રવેશીને દ્વારકા પહોંચશે. ખેડૂતોની વિવિધ પડતર માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરવાના મુખ્ય હેતુ સાથે આ યાત્રાનો પ્રારંભ કચ્છના વ્રજવાણીથી કરવામાં આવ્યો હતો. આ પદયાત્રાએ વિવિધ ગામડાઓ ખૂંદીને અંદાજે ૫૦૦ કિલોમીટરનું અંતર કાપ્યું છે. આ યાત્રા ખાસ કરીને ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ મળી રહે, પૂરતું ખાતર અને વીજળી ઉપલબ્ધ થાય, ઉર્જા કંપનીઓની દાદાગીરી દૂર થાય તેમજ સમયસર પાક વીમો મંજૂર થાય જેવી મહત્વની માંગણીઓ સાથે નીકાળવામાં આવી છે. આ પદયાત્રામાં મોટી સંખ્યામાં ખેડૂતો, મહિલાઓ, યુવાનો સહિત કોંગ્રેસના અગ્રણી નેતાઓ જોડાવાના છે. દ્વારકાના વિવિધ વિસ્તારોમાં ભ્રમણ કર્યા બાદ આ યાત્રા સીધી દ્વારકાધીશ જગત મંદિર ખાતે પહોંચશે, જ્યાં ભગવાન દ્વારકાધીશના ચરણોમાં ધ્વજારોહણ કરીને અન્નદાતાઓની તમામ તકલીફો અને મુશ્કેલીઓ દૂર કરવા માટે ખાસ પ્રાર્થના કરવામાં આવશે.

