VIDEO: ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, દાહોદમાં 4 વર્ષના બાળકનું સારવાર દરમિયાન મોત
રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી ખાસ કરીને બાળકોના સ્વાસ્થ્યને લઈ ચિંતા વધી રહી છે. ચાંદીપુરા વાયરસનો અમદાવાદમાં વધુ એક કેસ નોંધાયો છે. ચાંદખેડાની એસએમએસ હોસ્પિટલમાં ચાર વર્ષના બાળકની સારવાર ચાલી રહી હતી, જેને ડિસ્ચાર્જ કરાયા બાદ દાહોદમાં તેનું મોત થયું હતું. ડિસ્ચાર્જ બાદ દાહોદની ગાંધી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. જ્યાં તેનું મોત નીપજ્યું છે.
આરોગ્ય વિભાગની અપીલ
આરોગ્ય વિભાગે રાજ્યના તમામ ડોક્ટરો અને નાગરિકોને ખાસ સતર્ક રહેવા અપીલ કરી છે. બાળકોમાં તાવ, ઉલટી, ખેંચ (આંચકી) જેવા લક્ષણો જોવા મળે તો વિલંબ કર્યા વગર નજીકની હોસ્પિટલમાં લઈ જવા સૂચના આપવામાં આવી છે.
લક્ષણો જોવા મળે તો કરાવો ચાંદીપુરા વાયરસ માટેનો ટેસ્ટ
વિભાગ દ્વારા PHC, CHC, સરકારી અને ખાનગી હોસ્પિટલો તેમજ મેડિકલ કોલેજોને ચાંદીપુરા વાયરસ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. જો કોઈ બાળકમાં શંકાસ્પદ લક્ષણો જોવા મળે તો તેનો ચાંદીપુરા વાયરસ માટેનો ટેસ્ટ કરાવવાની પણ સૂચના આપવામાં આવી છે.
જે વિસ્તારોમાં દર્દીઓ નોંધાયા છે ત્યાં દવાઓનું વિતરણ, ફોગિંગ અને અન્ય જરૂરી જાહેર આરોગ્યના પગલાં હાથ ધરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગે 2024માં નોંધાયેલા 61 કેસોની પણ સમીક્ષા કરી હતી.
અફવાઓથી દૂર રહો, ગભરાવાની જરૂર નથી
આરોગ્ય વિભાગે લોકોને અફવાઓથી દૂર રહેવા અને ગભરાવાની જરૂર નથી તેવી અપીલ કરી છે. સરકાર તમામ જરૂરી તૈયારીઓ સાથે પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને જરૂર પડ્યે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે.

