VIDEO: નસવાડી તાલુકાના દુગ્ધા ગામની આદિજાતિ વિભાગની છાત્રાલય બંધ કરવાની હિલચાલ
VIDEO: છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં દુગ્ધા ગામે આવેલી આદિજાતિ વિભાગની છાત્રાલય બંધ કરવાની હિલચાલ થઈ રહી છે. જેથી આ છાત્રાલયમાં ભણતા બાળકોનું ભવિષ્ય અંધકારમય બન્યું છે.
પછાત વર્ગ સેવામંડળ દ્વારા ચલાવવામાં આવતી છાત્રાલયના 16 લાખ રૂપિયા આદિજાતિ વિભાગે ચૂકવણી ન કરતા 60 જેટલા વિધાર્થીઓને છાત્રાલયના સંચાલકો દ્વારા ઘરે મોકલી દેવાનો આદેશ વાલીઓને કરતા આદિવાસી સમાજના લોકો છાત્રાલય પહોંચી બાળકોને ઘરે ન મોકલવા સંસ્થાના પ્રમુખને રજૂઆત કરી હતી. જો કે, અડધું વર્ષ શિક્ષણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે અને હવે તેઓને ઘરે મોકલી દેવામાં આવે તો બાળકોનું શિક્ષણ બગડે તેમ છે. જ્યારે આદિજાતિ વિભાગના અધિકારીઓના વાંકે બાળકોને રહેવા, જમવાની સુવિધા ધરાવતી છાત્રાલય અને પ્રાથમિક શાળા બંધ કરી દેવાના પ્રયાસો સામે આદિવાસી સમાજ આગામી દિવસોમાં જલદ આંદોલન કરશે.
નસવાડી તાલુકાના આદિવાસી પરિવારો મજૂરી કામે કાઠિયાવાડ જાય છે. તેઓનાં બાળકો અભ્યાસ માટે છાત્રાલયમાં મૂકીને જાય છે ત્યારે આ વાલીઓને સંસ્થાના સંચાલકો બાળકોને પોતાના ઘરે લઈ જવા માટે સૂચના આપતા વાલીઓ પણ ચિંતિત બન્યા છે.
આદિવાસી સમાજનું જલદ આંદોલનનું એલાન
આદિવાસી સમાજે તંત્રની આ ઉદાસીનતા સામે લાલ આંખ કરી છે. આદિજાતિ વિભાગના અધિકારીઓના વાંકે બાળકોના શિક્ષણ અને રહેવાની સુવિધા છીનવાઈ રહી હોવાથી, આદિવાસી સમાજે આગામી દિવસોમાં જલદ આંદોલન કરવાની ચીમકી આપી છે. તેમની માગણી છે કે તાત્કાલિક ગ્રાન્ટની ચૂકવણી કરીને બાળકોનું શિક્ષણ ચાલુ રાખવામાં આવે.
આ સમગ્ર ઘટના સરકારના આદિજાતિ વિકાસના દાવાઓ સામે મોટો પ્રશ્નાર્થ ચિહ્ન મૂકે છે. વિભાગ જો તાત્કાલિક ગ્રાન્ટ નહીં ચૂકવે, તો 60 નિર્દોષ આદિવાસી બાળકોનું ભવિષ્ય બગડશે તે નિશ્ચિત છે.

