Video/ Chhota Udaipurના નસવાડીમાં વનવિભાગની ઘોર બેદરકારી, લાખોના ખર્ચે વવાયેલા વૃક્ષો સુકાયા
Naswadi તાલુકાના તણખલા થી બરોલી ગામ નજીક કેનાલ સુધીના રોડના બંને બાજુ વનવિભાગ દ્વારા વાવવામાં આવેલા આશરે 600 જેટલા વૃક્ષોમાંથી મોટાભાગના વૃક્ષો સુકાઈ જતા વનવિભાગની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.
માહિતી મુજબ બરોલીથી તણખલા સુધીના આશરે ચાર કિલોમીટર વિસ્તારમાં રોડ સાઈડ પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વૃક્ષોની સુરક્ષા માટે લોખંડના પીંજરા પણ મૂકવામાં આવ્યા હતા. આ કામગીરી પાછળ અંદાજે 10 લાખ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
સ્થાનિકોનો આક્ષેપ છે કે દિવાળી બાદ વૃક્ષોની યોગ્ય માવજત કરવામાં આવી નથી. સમયસર પાણી ન મળવાથી અને છાણિયું ખાતર સહિત અન્ય જરૂરી ખાતર ન આપતાં મોટાભાગના વૃક્ષો સુકાઈ ગયા છે. જો યોગ્ય સમયે સિંચાઈ અને સંભાળ રાખવામાં આવી હોત તો વૃક્ષો બચી શક્યા હોત તેમ સ્થાનિકોનું કહેવું છે.
સરકાર દ્વારા “વૃક્ષ વાવો, વરસાદ લાવો” જેવા સંદેશાઓ સાથે વૃક્ષારોપણ અભિયાન ચલાવવામાં આવે છે, પરંતુ વાવેતર બાદ જાળવણી ન થતા સરકારી ખર્ચ વ્યર્થ જતો હોવાનો આક્ષેપ ઉઠી રહ્યો છે. મોટી સંખ્યામાં વાવવામાં આવેલા વૃક્ષોની સંભાળ ન લેવાતા પર્યાવરણ સંરક્ષણના હેતુ પર પણ પ્રશ્નચિહ્ન ઊભું થયું છે.

