Video: વિકસિત ગુજરાતની વરવી વાસ્તવિકતા, છોટા ઉદેપુર જિલ્લામાં રસ્તાના અભાવે પ્રસૂતાનું મોત
વિકસિત અને દેશનું ગ્રોથ એન્જિન કહેવાતા ગુજરાતમાં રસ્તાના અભાવે એક પ્રસૂતાનું મોત નીપજ્યું હોવાનો કરુણ બનાવ સામે આવ્યો છે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ગામે મહિલાને પ્રસૂતિનો દુખાવો ઉપડ્યા બાદ તે રસ્તાના અભાવે સમયસર હોસ્પિટલ ન પહોંચી શકતા મોત નીપજ્યું હતું.
મૃત મહિલાને વડોદરા ખાતે રિફર કરાઇ
પ્રાપ્ત માહિતી મુજબ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ગામના ખૈડી ફળિયાની મહિલાને પ્રસૂતિનો દુખાવો ઉપડતા પાંચ કિલોમીટર ઝોળીમાં નાખીને સાવધા ફળીયા સુધી લાવ્યા ત્યારબાદ ત્યાંથી કવાંટ ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવી હતી. આ પ્રસૂતાને વડોદરા ખાતે વધુ સારવાર માટે મોકલવામાં આવી હતી. ગ્રામજનોનો આક્ષેપ છે કે આ મહિલા નું મોત છોટાઉદેપુર ખાતે થઈ ગયું હતું પરંતુ સરકારી હોસ્પિટલના સત્તાવાળાઓ મૃત મહિલાને વડોદરા ખાતે રિફર કરી દીધી હતી. આ મહિલાનું નામ વાણસીબેન રાજુભાઈ રાઠવા છે તેને ચાર સંતાનો છે અને પાંચમી પ્રસૂતિ હતી.
અગાઉ પણ આ જ ગા+મની મહિલાનું થયું હતું મોત
અગાઉ આ જ ગામની મહિલા રસ્તાના અભાવે મોતને ભેટી હતી અને હાઇકોર્ટમાં સુઓમોટો દાખલ કરાયો હતો પરંતુ ત્યારબાદ તંત્રએ કાગળ ઉપર રસ્તા મંજૂર કરી દીધા હતા, પરંતુ હજુ સુધી રસ્તા બન્યા નથી અને ફરી બીજી મહિલાનું મોત પ્રસૂતિ દરમિયાન થયું છે.

