Chhota udaipur news: મનસુખ વસાવા માનસિક રીતે વિકૃત, તેમને સારવારની જરુર છે: ભાજપ સાંસદ પર ચૈતર વસાવાનો વળતો પ્રહાર

*AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપના સાંસદ મનસુખ વસાવાના આક્ષેપો પર વળતો પ્રહાર કર્યો છે. તેઓએ કહ્યું હતું કે આદિવાસી વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિકની ગ્રાન્ટ ન હોવાનું કારણ દર્શાવીને વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવી ન હતી. અતિ કુપોષણથી પીડાતા બાળકો માટે પણ સરકાર પાસે ગ્રાન્ટ નથી.
પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં કરોડોનો ખર્ચ આદિજાતિ વિકાસના ફંડમાંથી કરાયો
વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે સિકલ સેલથી પીડાતા આદિવાસી વિસ્તારના લોકો માટે સબસીડીની યોજના હતી પરંતુ માર્ચથી આજ દિન સુધી કોઈને સહાય ચૂકવવામાં આવતી નથી, માત્ર જણાવવામાં આવે છે કે ગ્રાન્ટ નથી. પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં કરોડો રૂપિયાનો ખર્ચ આદિજાતિ વિકાસના ફંડમાંથી કરવામાં આવ્યો છે. જ્યારે મેં સવાલ ઉભા કર્યા, ત્યારે જે સાંસદે બિલો અને વાઉચર મુકાવ્યા છે એમના અને એજન્સીઓના પેટમાં તેલ રેડાયું, માટે તેઓ મારા પર ખોટા આક્ષેપો કરી રહ્યા છે અને જો મારા વિરુદ્ધ પુરાવા રજૂ કરવામાં આવે નહીંતર હું માનહાનીનો કેસ કરીશ.
વસાવાએ પ્રહારો કરતા કહ્યું હતું કે જો ભાજપના સાંસદ મારા વિરુદ્ધ પુરાવા નહીં આપે તો અમે માનીશું કે તેમને મનોચિકિત્સક પાસે સારવાર લેવાની જરૂર છે. મનરેગા મુદ્દે પુરાવા સાથે મેં કૌભાંડની વાત કરી હતી ત્યારે પણ મનસુખ વસાવાએ આરોપોને નકાર્યા હતા, પરંતુ બાદમાં સાચે જ મનરેગા કૌભાંડ બહાર આવ્યું હતું. ભ્રષ્ટાચાર કરનારાઓનું લિસ્ટ મનસુખભાઈ પાસે આવી ગયું છે તેમ છતાં પણ જો એ લિસ્ટ પોલીસને અને સરકારને આપતા નથી તો મનસુખભાઈએ બીજા કોઈ વ્યક્તિ પર પાયાવિહોણા આક્ષેપ કરવા ન જોઈએ.
10 કરોડનું કમલમ બનાવવાના પૈસા ક્યાંથી આવ્યા?
વસાવાએ જણાવ્યું હતું કે નર્મદામાં દસ કરોડનું કમલમ કોના પૈસાથી બનાવ્યું? જિલ્લામાં આંગણવાડી માટે ગ્રાન્ટ નથી, શાળાઓ અને બીજી કોઈ વ્યવસ્થા માટે પણ પૈસા નથી, તો તમે ફાઈવસ્ટાર જેવું 10 કરોડનું કમલમ બનાવ્યું એના પૈસા ક્યાંથી આવ્યા? અમે જ્યારે દારૂ અને ડ્રગ્સની વિરુદ્ધ વાતો કરીએ છીએ ત્યારે ભાજપ અને તેમની પોલીસ બુટલેગરોને ઉશ્કેરે છે અને એ બુટલેગરો અમારા નેતાઓ પર હુમલો કરે છે. જો બુટલેગરો વિરુદ્ધ કડક કાર્યવાહી નહીં થાય તો આવનારા દિવસોમાં બુટલેગરો અને ડ્રગ પેડલરો વિરુદ્ધ અમે મોટી કાર્યવાહી કરીશું.

