છોટાઉદેપુરના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓની હાલત કફોડી, સ્કૂલે જવા ચાલીને કે બસમાં ઘેટા બકરાંની જેમ કરવી પડે મુસાફરી

છોટાઉદેપુર જિલ્લાના કેટલાક એવા ગામો છે કે, જ્યાં બસની અપૂરતી સુવિધાને લઇ બાળકોને સ્કૂલે આવવા જવા માટે બસમાં ઘેટા બકરાંની માફક મુસાફરી કરવી પડે છે. તો કેટલાક ગ્રામ્ય વિસ્તારના બાળકોને જંગલ વિસ્તારમાંથી પસાર થઈ સ્કૂલે આવતા જતા હોય તેમાં પણ એક જોખમ જોવાઇ રહ્યું છે. તેમ છતાં તાયફામાંથી ઊંચી ન આવતી સરકારી આ બાબતે કંઈ જ ન કરી રહી હોય તેવી રાવ ઉઠી રહી છે.
એક જ બસથી હાલાકી
36 પેસેન્જરની મીની બસમાં 115 જેટલા બાળકો સ્કૂલે જઈ રહ્યા હતા. તેનો વિડિયો એક જાગૃત નાગરિકે બનાવીને સોસાયલ મીડિયામાં મૂક્યો હતો. જ્યારે પાવીજેતપુર તાલુકાના કુંડલ ગામે પહોંચી તો બસ જે બસ 8 વાગ્યે પહોંચે છે. તે બસ 9 વાગ્યે પહોંચી હતી. જેથી કેટલાક બાળકો ખાનગી વાહનોમાં નીકળી ગયા હતા. આમ છતાં બસ ખીચોખીચ હતી. ગામના લોકોનું કહેવું છે કે, અમારે ગામમાં સવારના સમયે એક જ બસ આવે છે. જેમાં મુસાફરો અને બાળકોને બેસવું પડે છે. જયારે આ વિસ્તારના કોલેજ કરતા વિદ્યાર્થીઓ માટે ઘરે પરત આવવા માટેની બસનો કોઈ ટાઇમ નથી. બાળકો માટે ફક્ત એક જ બસ અને તે પણ મીની બસ જેમાં બાળકોને બેસવાની જગ્યા પણ નથી મળતી. વર્ષોની આ પરિસ્થતિ છે. ગામને વધુ એક બસ મળે અથવા મોટી બસની વ્યવસ્થા કરવામાં આવે તો બાળકોને અને મુસાફરોને રાહત થાય.

શ્વાસ લેવાની જગ્યા નહીં
કુંડલ ગામની સ્થતિ જોયા બાદ અમારી ટીમે બોડેલી તાલુકાના ચલામલી ગામની મુલાકાત લીધી. જ્યા જે દ્રશ્યો નજરે પડ્યા તે જોતા તો કોઈના પણ મન કંપી ઊઠે. ખીચો ખીચ મુસાફરોથી ભરાઈને આવેલી બસમાં 140થી પણ વધુ બાળકોને પોતાના ઘરે જવા બસમાં સવાર થવું હતું. ધક્કા મૂકી કરી બસમાં બાળકો ચડી તો ગયા પણ બસમાં શ્વાસ લેવાઈ તેવી પણ જગ્યા ન હતી. પૈસા ખર્ચીને મુસાફરી માટે મેળવેલ પાસ ગરમીને કારણે હવા ખાવા માટેના ઉપયોગમાં બાળકો લઇ રહ્યા હતા. હવે વિચારો કે આ બસને અકસ્માત નડે તો શું હાલત થાય. વિદ્યાર્થીઓના જવાબદાર કોણ. બસના ડ્રાઈવર કે કન્ડક્ટર તો બાળકોને બેસતા રોકી શકતા નથી. કેમ કે તેમના માટે બીજી કોઈ બસ જ નથી. બસના કંડકટરે પણ એસ.ટી વિંભાગમાં જાણ કરી છે. પણ કોઈ નિકાલ આજ દિન સુધી નથી આવ્યો.

ડર વચ્ચે મુસાફરી
આ બાબતે છોટાઉદેપુરના ધારાસભ્યએ હાલ તો આશ્વાસન આપી રહ્યા છે, મુખ્યમંત્રીને મળવાની વાત પણ કરી છે.ચલામલીથી ફેરકુવા ગામ તરફથી પસાર થતા 35 જેટલી વિદ્યાર્થિનીઓ પોતાના ગામ તરફ જઇ રહી હતી. તેમને પૂછતા વિદ્યાર્થિનીઓએ કહ્યું કે, વર્ષોથી અમે સ્કૂલે જવા આવવા માટે 8 કિમી કાપીએ છીએ. ચોમાસાના સમયે તો ખૂબ તકલીફનો સામનો કરવો પડે છે. સ્કૂલેથી પરત ઘરે આવતા સાંજ પડી જાય છે. જંગલ વિસ્તારમાંથી પસાર થવું ખૂબ મુશ્કેલ છે. ડર લાગે છે પણ શું કરીએ. બસની કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી.
રજૂઆતોનું નિરાકરણ નહીં
એવું પણ નથી કે વિદ્યાર્થીઓને પડી રહેલ મુશ્કેલીની રજૂઆત એસ.ટી.વિભાગમાં ન કરી હોય. પાવીજેતપુર વિસ્તારના ધારાસભ્ય જયંતિ રાઠવા એ પણ પત્ર દ્વારા જાણ કરી છે. પણ કેમ એસ.ટી.વિભાગ આ બાબતે બેદરકારી રાખે છે. તે સમજાતું નથી. વાલીઓ પણ જ્યારે છોટાઉદેપુર એસ.ટી ડેપોમાં રજૂઆત કરવા જાય છે. ત્યારે તેમને એક જ જવાબ મળે છે કે, બોડેલી એસ.ટી ડેપોમાં જાણ કરો અને બોડેલી એસ.ટી. ડેપોમાં જાય તો તેમને છોટાઉદેપુર જાણ કરોનું કહેવામાં આવે છે. તો હવે વાલી અને વિદ્યાર્થીઓ જાય તો ક્યા જાય.

સવાલો ઉઠ્યાં
સરકાર એક તરફ આદિવાસી વિદ્યાર્થીઓનું શિક્ષણ સ્તર ઉપર લાવવાની વાતો કરે છે. તો બીજી બાજુ શિક્ષણ મેળવવા માટે વલખા મારી રહ્યા છે. હવે સવાલ એ ઊભો થાય છે કે, કેમ વિદ્યાર્થીઓને આપવામાં આવતી સવલતોથી વંચિત રાખવામાં આવે છે. જે બાળકોને સ્કૂલે જવા માટે બસની વ્યવસ્થા ના હોઈ તેવી વિદ્યાર્થિનીઓને આપવામાં આવતી સાયકલો કેમ કાટ ખાઈ રહી છે. કેમ તેમને આપવામાં આવી નહિ. સરકારની અનેકવિધ યોજના હોવા છતાં અધિકારીઓ યોજનાથી બાળકોને કેમ વંચિત રાખે છે.

