નસવાડી પંથકની કેનાલો જુએ છે જળની વાટ! બન્યાને 15 વર્ષે પણ નથી દેખાયું પાણીનું ટીપુંય

નસવાડી તાલુકાના પાંચ ગામોમાં 15 વર્ષ થી કેનાલો બનાવવામાં આવેલી છે. જેમાં અત્યાર સુધી એક પણ ટીપું પાણી આવ્યું નથી. આ ગામોમાં અંડરગ્રાઉન્ડ નર્મદા નિગમે પાઇપ લાઈનની કામગીરી કરી હતી. તેમાં પણ એક પણ ટીપું પાણી નથી પહોંચ્યું. પાંચ કિલોમીટર વિસ્તારમાં ખેડૂતોને સિંચાઈનું પાણી ન મળતા સુત્રોચ્ચારો કર્યા હતાં.
ઉભો મોલ સૂકાઈ રહ્યો છે
નસવાડી તાલુકાના ઝરખલી ગામ પાસેથી વડદલી અલ્વા માઇનોર કેનાલ 1 આઠ કિલોમીટરમાં બનેલી છે. જેમાં ઈન્દરમાં વાંકોર કંકુવાસણ જેમલગઢ વદડલી પાંચ ગામોને સિંચાઈનું પાણી મળતું નથી. જયારે કેનાલ બનાવવા માટે ખેડૂતોએ જમીનો આપી હતી. જયારે નર્મદાની મેઈન કેનાલ પાંચ કિલોમીટર દૂરથી પસાર થાય છે. પરંતુ, પાંચ કિલોમીટર વિસ્તારમાં કેનાલનું પાણી પહોંચતું નથી. જયારે ગ્રામજનોએ નર્મદા નિગમને વારંવાર રજૂઆત કરતા નર્મદા નિગમે ખેતરોમાં અંદર ગ્રાઉન્ડ લાઈન આઠ કિલોમીટર વિસ્તારમાં કરી હતી. પરંતુ તેમાં પણ પાણી ન પહોંચ્યું અને માઇનોર કેનાલ અને અંડરગ્રાઉન્ડ પાઈપલાઈન શોભાના ગાંઠિયા સમાન છે. હાલ ખેડૂતોને સિંચાઈ માટે પાણીની જરૂરિયાત છે. ત્યારે ખેડૂતોનો ઉભો મોલ સુકાઈ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે સરકાર આ ખેડૂતો માટે સિંચાઈ માટેનું પાણી મળે તે માટે નર્મદા નિગમના અધિકારીઓને આદેશ કરવો જોઈએ.
આંદોલનની ચીમકી
ખેડૂતોનો આક્ષેપ છે કે, અમે નર્મદા નિગમના અધિકારીઓને રજૂઆત કરીએ છે. ત્યારે અમારી રજૂઆત સાંભળવામાં આવતી નથી. જયારે સૌરાષ્ટ્ર સુધી ઈજનેરો પાણી લઇ જતા હોય તો જે ખેડૂતોએ કેનાલ બનાવવા માટે જમીન આપી છે. તેઓને પાણી કેમ પહોંચાડી શકતા નથી. જયારે ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે, કેવડીયા ખાતે નર્મદા નિગમની કચેરી ઉપર જઈને ઉગ્ર આંદોલન કરીશું. હાલ તો ખેડૂતોનો મોલ સુકાઈ રહ્યો છે.

