Chhota Udaipur news: ખેતરમાં કામ કરતી વખતે વીજળી પડતા યુવકનું મોત, બે વ્યક્તિનો આબાદ બચાવ

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત કેટલાક વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી છે. આ દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં બદલાયેલા હવામાન વચ્ચે 19 એપ્રિલ, 2026ના રોજ નસવાડી પંથકમાં કુદરતે કહેર વર્તાવ્યો છે. જેમાં નસવાડીના ચામેઠા ગામે ખેતરમાં મકાઈની લણણીનું કામ કરી રહેલા શ્રમિકો પર વીજળી ત્રાટકતા અજય હસમુખભાઈ ભીલનું કરુણ મોત નીપજ્યું છે. આ દુર્ઘટનામાં અન્ય બે વ્યક્તિઓનો આબાદ બચાવ થયો છે.
ખેતરમાં કામ કરતી વખતે વીજળી પડતા યુવકનું મોત
બનાવની વિગતો મુજબ, નસવાડી તાલુકામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું. જેમાં ચામેઠા ગામે અજય ભીલ અન્ય સાથીદારો ખેતરમાં મકાઈના ડોડા ભરવાનું કામ કરી રહ્યા હતા. આ દરમિયાન વીજળી પડતા અજયનું મોત નીપજ્યું હતું. અચાનક બનેલી આ ઘટનાથી ખેતરમાં હાજર અન્ય શ્રમિકો હેબતાઈ ગયા હતા.
બીજી તરફ, નસવાડી પંથકમાં આકાશી વીજળીના ભયને કારણે રસ્તાઓ અને બજારો સુમસામ બની ગયા હતા. તંત્ર દ્વારા ખેડૂતો અને ગ્રામજનોને ખરાબ હવામાન દરમિયાન ખેતરમાં કે ઝાડ નીચે ન રહેવા સાવચેત કરવામાં આવ્યા છે.

