હડદડ ગામે થયેલ હિંસક હુમલા મામલે કોંગ્રેસ આવ્યું મેદાને, આરોગ્ય મંત્રીએ આને પૂર્વ આયોજિત કાવતરું ગણાવ્યું

બોટાદ જિલ્લાના હડદડ ગામમાં રવિવારે (12 ઓક્ટોબરે) યોજાયેલી કૃષિ મહા પંચાયતની ચર્ચા હાલ સમગ્ર ગુજરાતમાં ચાલી રહી છે, જેને પગલે રાજ્યનું રાજકારણ ગરમાયું છે. પંચાયત દરમિયાન પોલીસ અને આમ આદમી પાર્ટી (AAP)ના નેતાઓ તથા સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું હતું, જેના પરિણામે પોલીસે તાત્કાલિક અસરથી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે રાતોરાત SRPFની કંપનીનો બંદોબસ્ત ગોઠવી દીધો છે.
પોલીસે દાવો કર્યો હતો કે આ પંચાયતનું આયોજન મંજૂરી વિના કરવામાં આવ્યું હતું. જેને રોકવા માટે પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ દરમિયાન ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ વાહનો પર પથ્થરમારો કર્યો હોવાના આક્ષેપો છે, જેના જવાબમાં પોલીસે સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે ટિયર ગેસના શેલ છોડવા પડ્યા હતા. પોલીસે આ ઘટના બાદ અનેક લોકોની અટકાયત પણ કરી છે.
હડદડ ગામમાં SRPF તૈનાત
બોટાદમાં બનેલા આ બનાવ બાદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ ન બગડે તે સુનિશ્ચિત કરવા માટે પોલીસ મહાનિદેશકની ઓફિસ ગાંધીનગરથી 12મી ઓક્ટોબરની રાત્રે જ બોટાદ ખાતે SRPFની કંપનીને તાત્કાલિક રિપોર્ટ કરવાના આદેશો પસાર કરી દેવામાં આવ્યા હતા. હાલમાં ગામમાં પ્રવર્તી રહેલી તણાવભરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરક્ષા માટે SRPF રાત્રીભર તૈનાત છે. પોલીસે જણાવ્યું હતું કે, હાલ હડદડ ગામમાં કાયદો અને વ્યવસ્થા નિયંત્રણમાં છે અને ગામમાં કડક પોલીસ તેમજ SRPFનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
હિંસક હુમલા મામલે કોંગ્રેસ આવ્યું મેદાને
બીજી તરફ આ બબાલ મામલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો જિલ્લા પ્રમુખ વિપક્ષ નેતા સહિત કોંગ્રેસ આગેવાનો એસપી કચેરીએ મૌખિક રજૂઆત કરવા પહોંચ્યા હતા. કોંગ્રેસના નેતા ઈંદ્રનિલ રાજગુરુએ આ આમ આદમી પાર્ટીનો સ્ટંટ હોવાનું જણાવતા આ મુદ્દે ચર્ચા કરવા આમ આદમી પાર્ટીને ચેલેન્જ ફેંકી હતી. બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હીંમતભાઈ કટારીયા તેમજ અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશભાઈ ગોહિલ, નેતા ઈન્દ્રનિલ રાજ્યગુરૂ, જિલ્લા પંચાયત વિપક્ષ નેતા રમેશ શીલુ સહિતના આગેવાનો રજૂઆત કરવામાં સામેલ હતા. તેમણે ન્યાયિક તપાસ કરી દોષિત લોકો વિરોધ કાર્યવાહી અને નિર્દોષને છુટકારો કરવા રજૂઆત કરી હતી.
આરોગ્ય મંત્રીએ આને પૂર્વ આયોજિત કાવતરું ગણાવ્યું
આ બધાની વચ્ચે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેઓ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી પણ છે. તેમણે કહ્યું કે, "કોઈ પણ મુદ્દો ન હોવા છતાં આમ આદમી પાર્ટીના નેતાઓ ખેડૂતોને લઇને પહોંચ્યા હતા. આ કોઇ ખેડૂતોનો મુદ્દો ન હતો, માત્ર બહાનું હતું. આ પૂર્વ આયોજિત કાવતરું કોણે કર્યું તે સૌએ જોયું છે. દિલ્હીને બરબાદ કર્યા બાદ લોકોએ પંજાબની પણ હાલત જોઈ છે. દિલ્હીમાં કૌભાંડો કર્યા બાદ કેજરીવાલને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. આવી રાજનીતિ ના કરો પ્રજાના કામો કરો અને લોકોની વચ્ચે જાઓ."

