Botad news: ભારે વરસાદ બાદ PGVCL દ્વારા 324 ટીમ બનાવી 4 તાલુકામાં 3 દિવસમાં વીજ પુરવઠો ફરી શરૂ કરાયો

Botad news: બોટાદ જિલ્લામાં ભારે વરસાદથી 154 ગામોને થયેલ નુકશાન, 278 વીજ પોલ ધરાશાયી, જ્યોતિગ્રામ ફીડર બંધ ત્યારે pgvcl બોટાદ દ્વારા 324 ટીમો બનાવી ચાર તાલુકામાં ત્રણ દિવસમાં વીજ જોડાણની કામગીરી પૂર્ણ કરી હતી.
ચોમાસાની સિઝનના પ્રથમ ભારે વરસાદથી બોટાદ જિલ્લા હેઠળ આવેલા બરવાળા, રાણપુર,ગઢડા તેમજ બોટાદમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. બોટાદ જિલ્લામાં ધોધમાર 15 ઇંચ જેટલા વરસાદથી જુદા જુદા તાલુકા કક્ષાએ અને ગામોમાં વ્યાપક નુકસાની સાથે વીજ પુરવઠો ખોરવાયો હતો, ભારે વરસાદથી બોટાદ જિલ્લામાં કુલ ૨૭૮ વીજ પોલ ધરાશાયી થયા હતા.તેમજ ઘણાં બધા ખેતીવાડી તેમજ જ્યોતિગ્રામ ફીડરો બંધ થયા હતા.
છેલ્લા ત્રણ દિવસથી યુદ્ધના ધોરણે કામગીરી કરી પીજીવીસીએલ -બોટાદ દ્વારા તમામ ગામોને વીજ પુરવઠો પુન:સ્થાપિત કરી આપવામાં આવ્યો છે. થયેલા વ્યાપક નુકસાન ને પહોંચી વળવા બોટાદ જિલ્લામાં પીજીવીસીએલ દ્વારા કુલ ખાતાકીય તેમજ કોન્ટ્રકટરની એમ મળીને કુલ 324 ટીમો તાત્કાલિક એક્શનમાં આવી હતી.
ભારે વરસાદને કારણે બોટાદ જિલ્લામાં બરવાળા તાલુકાના 20 ગઢડા તાલુકાના 30 રાણપુર તાલુકાના 15 તેમજ બોટાદ તાલુકાના 54 એમ કુલ મળીને 119 ગામોમાં વીજ પુરવઠો બંધ થયો હતો. જેને લઈને પીજીવીસીએલ બોટાદ સર્કલ ઓફિસમાંથી બે દિવસમાં 918 જેટલા કર્મચારીઓને 324 ટીમો અધિક્ષક ઈજનેર વર્તુળ કચેરી-બોટાદ,કાર્યપાલક ઇજનેરશ્રી જે. જે. ગોહિલ, બોટાદ વિભાગીય કચેરી તેમજ શ્રી કે. જી. શીંગડીયા કાર્યપાલક ઇજનેરશ્રી, ગઢડા વિભાગીય કચેરીના સીધા માર્ગદર્શન હેઠળ છેલ્લા ત્રણ દિવસમાં કામગીરી માટે રવાના કરી હતી.
આ ત્રણ દિવસની કામગીરીના અંતે તમામ તાલુકા તાલુકાના તમામ ગામોમાં વીજ પુરવઠો સત્વરે ચાલુ કરી આપવામાં આવ્યો હતો. તેમજ મોટા ભાગના ખેતીવાડીના ફીડરો પણ ચાલુ કરી આપવામાં આવ્યા છે. તેમ પીજીવીસીએલ, વર્તુળ કચેરી, બોટાદના અધિક્ષક ઈજનેરશ્રી કે.ડી.નીનામા દ્વારા જણાવાયું છે.

