VIDEO: જૈનોના શાશ્વત તીર્થ પાલીતાણા ખાતે આજે છ ગાઉની પાવન પરિક્રમા યોજાઈ, હજારો શ્રાવકોએ લીધો ભાગ
જૈનોના શાશ્વત તીર્થ પાલીતાણા ખાતે આજે છ ગાઉની પાવન પરિક્રમા યોજાઈ. વહેલી સવારથી જ હજારો શ્રાવકો અને સાધુ-ભગવંતોએ 'જય સિદ્ધાચંલ'ના પ્રચંડ નાદ સાથે શેત્રુંજય ગિરિરાજની યાત્રા શરૂ કરી હતી. સાંબ અને પ્રદ્યુમ્ન જે ભૂમિ પરથી મોક્ષ પામ્યા હતા, ત્યાં ભક્તોએ ચંદન તલાવડી અને ભાડવાના ડુંગર થઈ સિદ્ધવડ સુધીની યાત્રા કરી હતી. યાત્રિકો માટે 96 જેટલી પાલમાં સંઘ પૂજન અને ભોજનની ભવ્ય વ્યવસ્થા કરવામાં આવી છે.
છ ગાઉની યાત્રાની શરૂઆત શત્રુંજય તીર્થ
છ ગાઉની યાત્રાની શરૂઆત શત્રુંજય તીર્થની તળેટીએથી શરૂ થઇ ગિરિરાજ ઉપર આદીશ્વર દાદાની મોટી ટૂકમાં દર્શન કરીને રામપોળની બહાર નીકળી દેવકીષટ્નંદનની દેરી આવે છે, ત્યાં ટેકરી ઉપર દર્શન કરે છે, ચૈત્યવંદન કરે છે,પછી ત્યાંથી ગિરિરાજની પ્રદક્ષિણા શરૂ કરે છે. આગળ જાય ત્યારે ઉલખા જળ આવે છે. ત્યાં દેરીમાં શ્રી આદીશ્વર ભગવાનના પગલાં છે. ત્યાં ચૈત્યવંદન કરે છે.
પૂર્વ કાળે અહીં દાદાનું ન્હવણ આવતું હશે તેવી કલ્પના છે. ત્યાથી આગળ શ્રીઅજિત-શાંતિનાથની દેરી આવે છે. ત્યાં દર્શન, ચૈત્યવંદન કરે. બાજુમાં ચિલ્લણ(ચંદન) તલાવડી આવે છે, ત્યાં બેઠા-સૂતા કે ઉભા ૯ કે ૧૧ લોગસ્સનો કાઉસ્સગ્ગ કરવામાં આવે છે. ત્યાથી આગળ ચાલતાં ભાડવાના ડુંગર પર જાય છે. ત્યાં શાંબ-પ્રદ્યુમ્નની દેરી આવે છે ત્યાં ચૈત્યવંદન કરીને ઉતરવાની શરૂઆત કરે છે. એટલે ધીરે ધીરે ઉતરીને સિદ્ધવડ આગળ આવે છે. ત્યાં દેરીમાં દાદા આદીશ્વર ભગવાનનાં પગલાં છે. ત્યાં દર્શન-ચૈત્યવંદન કરીને પછી પાલમાં જાય છે.

