VIDEO: ભાવનગરમાં શિક્ષકનું શંકાસ્પદ મોત, રસોડામાંથી અડધી ખાલી દારૂની બોટલ મળી, લઠ્ઠાકાંડનો ભોગ બન્યા હોવાની શંકા
ભાવનગર શહેરના વિદ્યાનગર વિસ્તારમાં મેલડી માતાના મંદિર નજીક ભાડાના મકાનમાં રહેતા હિતેશભાઈ પરમાર નામના શિક્ષકનો મૃતદેહ તેમના મકાનમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો, સ્થળ પરથી જે પ્રમાણે વસ્તુઓ મળી તેને લઈને તેમનું મોત પણ નકલી દારૂ પીવાથી થયું હોવાની આશંકા છે, ત્યારે આ બાબતને લઈને પોલીસ દ્વારા મૃતદેહનો કબજો મેળવી પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
દારૂ પીધા બાદ 4ના મોત
ભાવનગર જિલ્લામાં ડુપ્લિકેટ દારૂના સેવનથી અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા છે. સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવવા જિલ્લા કલેક્ટર સિવિલ હોસ્પિટલ તેમજ અલગ-અલગ ખાનગી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. કલેક્ટરના જણાવ્યા મુજબ કુલ 18 દર્દીઓ સારવાર હેઠળ છે. જોકે, દાખલ તમામ દર્દીઓની હાલત હાલ નોર્મલ હોવાનું જણાવાયું છે. ડુપ્લિકેટ દારૂના સેવન બાદ તબિયત લથડવાની ઘટનાઓને પગલે તંત્ર સતર્ક બન્યું છે. કલેક્ટરે લોકોને અપીલ કરી છે કે રવિવાર અને સોમવાર દરમિયાન ડુપ્લિકેટ દારૂનું સેવન કર્યું હોય તેવા તમામ લોકો સાવચેતીના ભાગરૂપે મેડિકલ ચેકઅપ કરાવે અને કોઈપણ તકલીફ જણાય તો તાત્કાલિક સારવાર લે.

