Bhavanagar news: સિહોરમાં શ્રમિક દંપતીની કુહાડીના ઘા ઝીંકી ક્રૂર હત્યા, આખો રૂમ લોહીથી લથપથ

ભાવનગરના સિહોરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ઈંટોના ભઠ્ઠામાં કામ કરનાર શ્રમિકો વચ્ચેના ઝઘડાનું લોહીલુહાણ અંત આવ્યો છે. સામાન્ય બાબતથી શરૂ થયેલા ઝઘડા બાદ રોષે ભરાયેલા આરોપીએ શ્રમિક પતિ-પત્નીની કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી દીધી હતી.
શું હતી સમગ્ર ઘટના?
ભાવનગર જિલ્લાના સિહોરના કનીવાવ ગામની સીમમાં ઈંટોના ભઠ્ઠામાં કામ કરનાર શ્રમિકો વચ્ચે ગુરૂવારે રાત્રે 12:30થી 12ની વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયો હતો. જેમાં આરોપી અમિત દ્વારા કુહાડી જેવા તીક્ષ્ણ હથિયારથી રામુભાઈ અને તેમના પત્ની પર ઘા કરી તેમની હત્યા કરવામાં આવી હતી. કુહાડીના ઘાના કારણે વધુ પડતું લોહી વહી જવાના કારણે દંપતીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાંથી હત્યા કરવા માટે ઉપયોગમાં લેવાયેલી કુહાડી મળી આવી છે. પોલીસે આરોપીને ઝડપી લઈ આ વિશે વધુ પૂછપરછ શરૂ કરી છે. હાલ, મૃતક દંપતીના મૃતદેહને પોસ્ટમોર્ટ અર્થે ખસેડવામાં આવ્યો છે. હાલ, આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી આ વિશે વધુ તપાસ હાથ ધરી છે.

