Bhavnagar news: બગદાણાના નવનીત બાલધિયા કેસમાં 8 આરોપીઓના જામીન મંજૂર, કુલ 14 શખ્સોની કરાઈ હતી ધરપકડ

ભાવનગરના પ્રસિદ્ધ યાત્રાધામ બગદાણામાં સેવક નવનીત બાલધિયા પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં આજે (2 ફેબ્રુઆરી) એક મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આ કેસમાં મહુવા સેશન્સ કોર્ટે આજે સુનાવણી દરમિયાન આઠ આરોપીઓની જામીન અરજી મંજૂર કરી છે. જણાવી દઈએ કે, આ કેસમાં કુલ 14 આરોપીઓની ધરપકડ કરાઈ હતી. ત્યારે હવે છ આરોપીઓ જેલ હવાલે છે, જ્યારે અન્ય આરોપીઓ જામીન પર મુક્ત થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નવનીત બાલધિયા કેસમાં SITની રચના થઈ છે. જેણે સઘન તપાસ હાથ ધરી છે.
કુલ 14 લોકોની થઈ હતી ધરપકડ
બગદાણા હુમલા કેસમાં SIT અત્યાર સુધીમાં કુલ 14 લોકોની ધરપકડ કરી છે. જેમાં જયરાજ આહીર ઉપરાંત નાજુ કામળિયા, રાજુ ભમ્મર, આતુ ભમ્મર, વિરેન્દ્ર પરમાર, સતીશ વનાળિયા, ભાવેશ સેલાળા, વીરુ સઈડા, પંકજ મેર, કાન કામલિયા, સંજય ચાવડા અને દિનેશ ઉર્ફે દાદુ સોંલંકી નામના આરોપીઓ છે. જેમાંથી 8 આરોપીઓને કોર્ટે જામીન મુક્ત કર્યા છે જ્યારે જયરાજ આહીર સહિત અન્ય 6 આરોપીઓ જેલમાં છે.
કયા કયા આરોપીઓને મળ્યા જામીન?
1. આતુ ભમ્મર
2. વેરુ શઈડા
3. રાજુ દેવાયત ભમ્મર
4. ભાવેશ ભગવાન ચેલાણા
5. વિરેન્દ્ર જેરામ પરમાર
6. પંકજ માવજી મેર
7. સતીષ વનાળિયા
8. ઉત્તમ બાંભણિયા
સમગ્ર વિવાદનું મૂળ શું?
ડાયરામાં માયાભાઈએ યોગેશ સાગરને બગદાણા આશ્રમના 'મેનેજિંગ ટ્રસ્ટી' તરીકે સંબોધ્યા હતા. બગદાણાના નવનીત બાલધિયાએ માયાભાઇને ફોન કરીને આ વાતનું ખંડન કર્યું હતું કે આશ્રમમાં આવું કોઈ પદ નથી. માયાભાઈએ માફી માંગી વીડિયો આપ્યો હતો, બાલધિયાનો આક્ષેપ છે કે માયાભાઈએ માફી માંગી તે તેમના પુત્ર જયરાજને પસંદ નહોતી પડી અને તેના જ ઈશારે ષડયંત્ર રચાયું હતું. 29 ડિસેમ્બર 2025ના રોજ નવનીત બાલધિયા પર આઠ જેટલા શખ્સોએ પાઈપ અને ધોકાથી ઘાતક હુમલો કર્યો હતો.
મહત્વનું છે કે 24 જાન્યુઆરીના રોજ SITની તપાસ દરમિયાન આઈજી ઓફિસમાં બીજી વખત હાજર થયેલા માયાભાઈ આહીરના પુત્ર જયરાજની ધરપકડ કરવામાં આવી હતી. 19 જાન્યુઆરી 2026ના ફરિયાદી નવનીત બાલધિયાનું નિવેદન લેવામાં આવ્યું હતું. જે બાદ 21 અને બાદમાં 24 જાન્યુઆરીએ જયરાજ આહીરની પૂછપરછ કરી ધરપકડ કરવામાં આવી હતી. નવનીત બાલધિયાની ફરિયાદ બાદ આરોપીઓના એકબીજા સાથેના મોબાઈલ સંપર્કો, લોકેશન તથા અન્ય વિગતોની SIT ટીમે તપાસ કરી હતી, નવનીત બાલધિયા પર જે હુમલો થયો છે તેમાં જયરાજ આહીરનો હાથ હોવાનું સામે આવ્યું હતું. ધરપકડ બાદ 25 જાન્યુઆરીએ માયાભાઈ આહીરના પુત્ર જયરાજે જામીન અરજી મહુવા કોર્ટમાં મૂકી હતી જે કોર્ટે ફગાવી દીધી હતી. હાલ જયરાજ ભાવનગર જેલની હવા ખાઈ રહ્યો છે.

