VIDEO: ભરુચ જિલ્લામાં કમોસમી વરસાદના લીધે સુગર ફેક્ટરીઓમાં પીલાણ પ્રભાવિત
VIDEO: ભરૂચ જિલ્લામાં વરસેલા કમોસમી વરસાદના કારણે ડાંગર-કપાસ સહિતના પાકોમાં નુકસાનની સાથે-સાથે સુગર ઉદ્યોગ પર પણ પ્રભાવ જોવા મળ્યો છે. ખેતરો ભીના હોવાથી શેરડી સુગર ફેક્ટરીઓ સુધી પહોંચી ન શકતા પંડવાઈ સુગર ફેક્ટરીનું 5.50 લાખ ટન શેરડી પીલાણનું કાર્ય અટવાઈ ગયું છે.
ભરૂચ જિલ્લામાં ખાબકેલા કમોસમી વરસાદના કારણે ડાંગર-કપાસ સહિતના પાકોમાં નુકસાનની સાથે-સાથે સુગર ઉદ્યોગ પર પણ અસર જોવા મળી છે. હાંસોટ તાલુકાની પંડવાઈ સુગર ફેક્ટરીનું આશરે 5.50 લાખ ટન શેરડી પીલાણ કાર્ય હાલ સ્થગિત કરાયું છે. સામાન્ય રીતે દિવાળી બાદ ફેક્ટરીઓમાં શેરડી પીલાણની શરૂઆત થતી હોય છે, પરંતુ અણધાર્યા વરસાદને કારણે ખેતરો ભીના બની જતા ખેડૂતોને શેરડીનો પાક બહાર કાઢવામાં મુશ્કેલી પડી રહી છે.ખેતરોમાં કાદવ હોવાના કારણે શેરડી કટિંગ કરી ટ્રકમાં ભરવામાં આવે છે પરંતુ જમીન ભીની હોવાના કારણે આ પ્રક્રિયા અટકી પડી છે.
આ અંગે પંડવાઈ સુગર ફેકટરીના મેનેજિંગ ડિરેકટર મુકેશ પટેલે જણાવ્યું હતું કે પીલાણ કાર્ય માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી પરંતુ વરસાદી પરિસ્થિતિને કારણે હાલ પીલાણની પ્રક્રિયા શરૂ થઈ શકી નથી.જો હવામાન અનુકૂળ રહેશે અને ખેતરો સુકાઈ જશે તો 10 નવેમ્બર આસપાસ શેરડી પીલાણ કાર્ય ફરી શરૂ થવાની શક્યતા છે.

