ભરૂચ : વાગરામાં ખનીજ ચોરો પર મોટી કાર્યવાહી, 18 ડમ્પર, 2 હેક્ઝાવેટર સહિત 5 કરોડનો મુદ્દામાલ જપ્ત

ભરૂચમાં વિકાસની સાથે રેતી અને માટી માફિયાઓનો પણ વિકાસ થઇ રહયો છે. શુકલતીર્થમાં નર્મદા નદીમાં 4 લોકોના ડૂબવાના મોતની ઘટના બાદ સાંસદ મનસુખ વસાવાએ તંત્ર સામે કરેલા આક્ષેપો બાદ હવે માટી ખનન કરનારો સામે તંત્રએ તવાઇ બોલાવી છે.
18 ડમ્પર, 2 હેક્ઝાવેટર સહિત 5 કરોડનો મુદ્દામાલ જપ્ત
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં ખનીજ ચોરી અંગે સાંસદ મનસુખ વસાવાના આક્ષેપ બાદ વહીવટીતંત્રએ ખનીજ ચોરો પર મોટી કાર્યવાહી કરી છે, જેમાં 18 ડમ્પર, 2 હેક્ઝાવેટર સહિત 5 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
ભરુચ જિલ્લા ભુસ્તરશાસ્ત્રી રચના ઓઝા તથા એસ.ડી.એમ મનીષા મવાણીએ તેમની ટીમ સાથે વાગરાના વજાપરા વિસ્તારમાં નિર્જન સ્થળેથી માટી ખોદકામનું મોટુ કૌભાંડ ઝડપી પાડયું છે. સમગ્ર દિવસ દરમિયાન ચાલેલી કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી 18 ડમ્પર સહિત 5.02 કરોડનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
હાલમાં કેટલા સમયથી માટી ખનન ચાલી રહ્યું હતું અને કેટલી માટી ખોદવામાં આવી છે તેની વિગતો હજી સુધી બહાર આવી નથી.


