VIDEO: સાથીદારોએ જ ચામાં ઘેનની દવા આપી લૂંટ કરી, ભરૂચના કેટરર્સની હત્યામાં મોટો ખુલાસો
ભરૂચના નંદેલાવની આશિર્વાદ સોસાયટીમાં રહેતા કેટરર્સની ચકચારી હત્યા કરી લૂંટના બનાવમાં પોલીસે એક આરોપીને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યા બાદ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું . આરોપીને ઘટનાસ્થળે લાવતા જ મૃતકના પરિવારજનો અને સ્થાનિકોનો આક્રોશ જોવા મળ્યો હતો..તેઓ આરોપીને ફાંસીની માંગ કરી રહ્યા હતાં.
ભરુચના નંદેલાવમાં રહેતા અને રામદેવ કેટરર્સ ચલાવતા પ્રકાશભાઈ માલીની ગત તા. 17 મી ઓગસ્ટે તેઓના ઘરમાં જ કૃરતાપૂર્વક મોતને ઘાટ ઉતારી સોનાની ચેઈન અને રોકડા સાડા નવ લાખ રૂપિયા તેમજ મોબાઇલ, વાન સહિત રૂ.14,55,000 ના મુદ્દામાલની લૂંટ કરી અજાણ્યા ઇસમો ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં પોલીસે આરોપીને ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. તેની સાથે કેટરર્સનું કામ કરતા સાથીદારોએ જ તેની હત્યા કરી હતી.
ભરૂચના આ ચકચારી કેસમાં તેની સાથે જ કામ કરતા કમલાપ્રસાદ ઉર્ફે રાજેશ વર્મા તથા છોટકઉ ઉર્ફે નફીસ ઉર્ફે સદલુની સંડોવણી જણાઈ હતી. જે આધારે ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા આરોપી - રાજેશ હરીનારાયણ વર્માને ઉત્તર પ્રદેશ ઝડપી પાડી આરોપીની પુછપરછ કરતા બન્નેએ ભેગા મળીને પ્રકાશ માલીને ચામાં ઘેનની દવા મેળવી પીવડાવી બન્ને હાથ પગ બાંધી મોઢામાં બટાટુ નાખી તેના ઉપર સોફાના કવરનો ડુચો મારી કૃરતાપુર્વક મોતને ઘાટ ઉતાર્યો હતો. આ સાથે ઘરમાંથી રોકડ રૂપીયા, સોનું સહિતની વસ્તુઓ ઉપરાંત તેની જ ઈકો ગાડી લઈ ફરાર થઈ ગયા હોવાનું જણાવ્યું હતું.
પોલીસે ઝડપાયેલ આરોપી રાજેશ વર્માને સાથે રાખી મૃતકના ઘરે જઈ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું. પોલીસ સાથે આરોપી પહોંચતા મૃતકના પરિવારજનો સહિત સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. તેઓ આરોપીની ફાંસીની માંગ કરી રહ્યા હતા. આરોપીને લઈને જતા પોલીસ સાથે ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાઈ હતી. જોકે પોલીસે સ્થિતિ સંભાળી લઈ કામગીરી પાર પાડી હતી. પોલીસે આ ગુનાના અન્ય આરોપીને પણ ટૂંક સમયમાં ઝડપી લેવાની કાર્યવાહી હાથ ધરી છે.

