બનાસકાંઠા: દુષ્કર્મના આરોપીને આજીવન કેદની સજા, અમીરગઢમાં 3 વર્ષની બાળકી પર ગુજાર્યો હતો બળાત્કાર

બનાસકાંઠામાં દુષ્કર્મના આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. પાલનપુર સ્પેશ્યલ પોક્સો કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. મહત્ત્વપૂર્ણ છે કે અમીરગઢમાં 3 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો જે બાદ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પાલનપુર સ્પેશ્યલ કોર્ટે આરોપી મોતી ચૌહાણને આજીવન કેદ તેમજ 50 હજારનો દંડ ફટકાર્યો છે.
દુષ્કર્મના આરોપીને આજીવન કેદ
અમીરગઢ તાલુકાના એક ગામમાં ખેતી કરીને ગુજરાન ચલાવતા એક પરિવારની ત્રણ વર્ષની દીકરી બે વર્ષ અગાઉ ખેતરમાં રમતી હતી. તે જોઇ ખેમરાજીયા ગામના મોતી ચૌહાણ નામના શખ્સે વિકૃત માનસિકતાથી બાળકી પર દુષ્કર્મ આચરતાં બુમાબુમ કરતાં તેની માતા દોડી આવી હતી. તેણીને જોઇ આરોપી કોટ કૂદીને ફરાર થઇ ગયો હતો. જે બનાવમાં બાળકીને ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી અને આરોપી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
જે કેસ પાલનપુર સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલની રજૂઆતો, આધાર પુરાવાને ધ્યાને લઇ પોક્સો કોર્ટમાં ન્યાયાધીશે દુષ્કર્મના આરોપી મોતી કેશા ચૌહાણને આજીવન કેદની સજા અને 50 હજારનો દંડ ફટકાર્યો છે. જેમાં આરોપી દંડની રકમ ના ભરે તો વધુ એક વર્ષની કેદની સજા કરાઇ છે.

