VIDEO: અમીરગઢમાં અકસ્માત નહીં, કારથી કચડીને કરાઈ'તી હત્યા, ૧૦ દિવસ બાદ પોલીસે ખોલ્યો મોટો રાઝ!
બનાસકાંઠાના અમીરગઢના બાટાવાળા વિસ્તાર નજીક દસ દિવસ અગાઉ બનેલી એક કથિત માર્ગ અકસ્માતની ઘટના ખરેખર સુઆયોજિત ઘાતકી હત્યા હોવાનો સનસનાટીભરી ખુલાસો થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. દસ દિવસ પહેલાં બાટાવાળા પાસે એક કારની જોરદાર ટક્કર વાગવાને કારણે ઈશ્વરભાઈ પટેલ નામના આધેડ વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જેને પગલે સ્થાનિક પોલીસે શરૂઆતમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. જોકે, આ ઘટના સામાન્ય અકસ્માત નહીં પરંતુ સોપારી આપીને કે અદાવતમાં કરાયેલી ક્રૂર હત્યા હોવાની મજબૂત શંકા મૃતકના પરિવારજનોએ વ્યક્ત કરતાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. અમીરગઢ પોલીસે આ ગંભીર કેસમાં ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના ઝીણવટભર્યા વિશ્લેષણના આધારે તપાસ તેજ કરીને આખી ઘટના પાછળનો છૂપો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે રામપુરા કરજા ગામના શાતિર આરોપી ગણેશ રાજપૂતે પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે પોતાની કારથી ઈશ્વરભાઈને પાછળથી ટક્કર મારી મોતને ઘાટ ઉતાર્યા હતા, જેથી પોલીસે હત્યારા ગણેશ રાજપૂતની ધરપકડ કરી ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરીને વધુ કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.

