માવજી પટેલને ભાજપમાંથી સસ્પેન્ડ કરાતા ચૌધરી સમાજ લાલઘૂમ, વાવમાં આરપારની લડાઇના મૂડમાં

વાવ વિધાનસભા બેઠક પેટા ચૂંટણીને આડે હવે બે દિવસ બાકી રહ્યાં છે. ભાજપ સામે બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવનારા માવજી પટેલ ઉપરાંત અન્ય ચાર પટેલ આગેવાનોની પક્ષવિરોધી પ્રવૃતિ બદલ ભાજપમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. માવજી પટેલને સસ્પેન્ડ કરતાં ચૌધરી સમાજ લાલઘૂમ થયો છે.
'અમે ભાજપ પક્ષને સસ્પેન્ડ કરીએ છીએ'- ચૌધરી સમાજનું એલાન
વાવ મતવિસ્તારમાં માવજી પટેલના સમર્થકો ભાજપ સામે આરપારની લડાઇ લડવાના મૂડમાં છે. એટલું જ નહીં, ભાભરમાં ચોસઠ ગોળ આંજણા ચૌધરી સમાજે તાકીદની બેઠક બોલાવી એલાન કર્યું છે કે, ચૌધરી મતદારો-સમાજની અવગણના બદલ ચૌધરી સમાજ ભારતીય જનતા પાર્ટીને સસ્પેન્ડ કરે છે. ભાજપ પક્ષવિરોધી કૃત્ય બદલ બળવાખોર અપક્ષ ઉમેદવાર માવજી પટેલને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હતા.માવજી પટેલ ઉપરાંત અન્ય ચાર ચૌધરી સમાજના આગેવાનોને પણ ભાજપમાંથી હાંકી કઢાયા હતા. ભાજપની આ પક્ષીય કાર્યવાહીને ચૌધરી સમાજે અન્યાયરૂપી પગલું ગણાવ્યુ હતું.
ભાજપ પ્રદેશ નેતાગીરીના નિર્ણયથી ચૌધરી સમાજ ધુંઆપુઆ
જોકે, ભાજપ પ્રદેશ નેતાગીરીના આ પગલાંથી વાવ મત વિસ્તારમાં ચૌધરી સમાજ પણ ધુંઆપુઆ થયો હતો. સસ્પેન્શન બાદ ચૌધરી સમાજે પણ કાઉન્ટર એટેક કર્યો હતો. ચૌધરી આંજણા સમાજને બેઠક યોજી સત્તાવાર રીતે જાહેરાત કરી કે, ભાજપ શું માવજી પટેલ અને ચૌધરી સમાજના આગેવાનોને સસ્પેન્ડ કરશે. અમે ભારતીય જનતા પાર્ટીને સૂચિત કરીએ છીએ કે, સમગ્ર ચૌધરી સમાજની અવગણના બદલ ચૌધરી આંજણા સમાજ સમગ્ર ભારતીય જનતા પાર્ટીને સસ્પેન્ડ કરે છે.
આ પણ વાંચો: 'ભાજપના ચાવવાના અને બતાવવાના દાંત જૂદા...', જુઓ ગેનીબેન ઠાકોરે કેમ કહ્યું આવું
માવજી પટેલને સસ્પેન્ડ કરાયા બાદ વાવ મત વિસ્તારમાં રાજકીય ગરમાવો આવ્યો છે. ચૌધરી સમાજે ખુલ્લેઆમ ભાજપ સામે બાંયો ચડાવી દીધી છે. સૂત્રો કહી રહ્યાં છે કે, ચૂંટણી બાદ ચૌધરી સમાજના કાર્યકરો ભાજપમાંથી રાજીનામુ આપી શકે છે.

