Ambaji: સૌરાષ્ટ્રના માઈ ભક્તે મા અંબાને ચઢાવ્યો ₹33.13 લાખનો સોનાનો હાર

શક્તિપીઠ અંબાજી ખાતે માઈ ભક્તોની આસ્થા અવિરત છલકાતી રહે છે. અવારનવાર ભક્તો માતાજીના ચરણોમાં સોના-ચાંદીની ભેટ ધરતા હોય છે, ત્યારે તાજેતરમાં સૌરાષ્ટ્રના એક માઈ ભક્તે માં અંબાને અત્યંત સુંદર અને કિંમતી સોનાનો હાર ભેટમાં અર્પણ કરીને પોતાની અતૂટ શ્રદ્ધા પ્રગટ કરી છે.
263 ગ્રામ સોનાનો અદભૂત હાર
માં અંબાના શરણે આવેલા સૌરાષ્ટ્રના આ ભક્તે માતાજી માટે ખાસ 'નવલખા હાર' તૈયાર કરાવ્યો હતો. આ હારનું વજન આશરે 263 ગ્રામ છે. બજાર ભાવ મુજબ આ હારની કિંમત આશરે ₹33 લાખ 13 હજાર આંકવામાં આવી છે.
આ હાર પરંપરાગત અને અવનવી કલાત્મક ડિઝાઇન સાથે તૈયાર કરવામાં આવ્યો છે, જે માં અંબાના શણગારમાં ચાર ચાંદ લગાવી દેશે.
ઓળખ ગુપ્ત રાખી કરી ભક્તિ
સામાન્ય રીતે મોટા દાનમાં લોકો પ્રસિદ્ધિ મેળવતા હોય છે, પરંતુ આ કિસ્સામાં સૌરાષ્ટ્રના માઈ ભક્તે પોતાની ઓળખ ગુપ્ત રાખવાનું પસંદ કર્યું છે. "જમણા હાથે આપેલું દાન ડાબા હાથને ખબર ન પડે" તે ઉક્તિને સાર્થક કરતા ભક્તે નિઃસ્વાર્થ ભાવે આ કિંમતી ભેટ મંદિર ટ્રસ્ટને સુપરત કરી હતી.
ભક્તોની આસ્થાનું કેન્દ્ર
અંબાજી મંદિરમાં અગાઉ પણ અનેક ભક્તોએ સુવર્ણ શિખર માટે અને માતાજીના આભૂષણો માટે કિલોના હિસાબે સોનું દાનમાં આપ્યું છે. દેશ-વિદેશમાં વસતા કરોડો ભક્તો માટે અંબાજી આસ્થાનું પરમ કેન્દ્ર છે અને આ નવો સુવર્ણ હાર તે શ્રદ્ધાના પ્રતીક તરીકે મંદિરમાં શોભશે.

