VIDEO: કૃષ્ણ જન્મોત્સવને પગલે શામળાજીમાં ભક્તોનો ઉત્સાહ, મંદિર પરિસર બન્યું ભક્તિમય
અરવલ્લીના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જન્માષ્ટમી પર્વ નિમિત્તે સમગ્ર શામળાજી મંદિર પરિસર ભક્તિમય માહોલમાં રંગાઈ ગયું છે. ભગવાન શ્રીકૃષ્ણના જન્મની ઘડીની ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
જન્મોત્સવને લઈને મંદિર પરિસરમાં ભજન-કીર્તનના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ખાસ કરીને ભરૂચથી મહિલા મંડળ શામળાજી ખાતે પહોંચ્યું હતું. મહિલાઓએ હાથમાં કરતાલ લઈને શ્રીકૃષ્ણના ભજનો અને કીર્તન કરી સમગ્ર વાતાવરણને કૃષ્ણમય બનાવી દીધું હતું. આ ઉપરાંત લાલજી ભગત મહારાજ દ્વારા પણ મંદિર પરિસરમાં ભજન-કીર્તન કરવામાં આવ્યું હતું. ભક્તોના જયઘોષ અને ભજનોના સૂરથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. શામળાજીમાં ભક્તિભાવ અને ઉત્સાહ વચ્ચે શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણીનો માહોલ છવાયો છે.

