Aravalli / બાયડ-દહેગામ રોડ પરનો ડાભા બ્રિજ 60 દિવસ માટે સંપૂર્ણ બંધ, તપાસમાં પુલ નબળો જણાતાં લેવાયો નિર્ણય

રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદીની એન્ટ્રી થઈ ગઈ છે. આમ, ચોમાસાની સિઝનમાં કોઈ દુર્ઘટના ન ઘટે તેને લઈને અરવલ્લી જિલ્લાના બાયડ-દહેગામ મુખ્ય માર્ગ પરના ડાભા બ્રિજને કલેક્ટરના જાહેરનામા બાદ 60 દિવસ માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. ઇન્સ્પેકશનમાં બ્રિજની ગુણવત્તા નબળી હોવાનું જણાયું હતુ. આમ, તપાસમાં પુલ નબળો જણાતાં કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને વાહનવ્યહાર માટે બ્રિજ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ કર્યો છે.
બાયડ-દહેગામ રોડ પરનો બ્રિજ 60 દિવસ માટે સંપૂર્ણ બંધ
અરવલ્લીના બાયડ-દહેગામ રોડ પર ડાભા ગામ નજીક વાત્રક નદી ઉપર આવેલા બ્રિજનું માર્ગ અને મકાન વિભાગ દ્વારા ટેકનિકલ ઇન્સ્પેકશન કરાયું હતું. જેમાં બ્રિજની ગુણવત્તા અને માળખાકીય સ્થિતિ નબળી હોવાનું જાણવા મળ્યું હતું. આમ, નાગરિકોની સલામતીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા બ્રિજને 60 દિવસ માટે સંપૂર્ણ બંધ કરવાનો નિર્ણય લીધો છે.
ઉલ્લેખનીય છે કે, બાયડ અને દહેગામને જોડતા મહત્ત્વના બ્રિજ પરથી ભારે વાહનો પસાર થતા હોય છે, ત્યારે બ્રિજની ગુણવત્તા યોગ્ય ન હોવાથી વાહનવ્યહાર માટે બ્રિજ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
વૈકલ્પિક રૂટ
અમદાવાદ તથા ગાંધીનગરથી બાયડ તરફ જતાં વાહનચાલકો તેનપુર ચોકડીથી વાયા લિંબ-રોઝડ-વડાગામ-ધનસુરાથી બાયડ જઈ શકશે.
બાયડ રોડથી અમદાવાદ તથા ગાંધીનગર તરફ જતાં વાહનચાલકો બાયડ ચોકડીથી વાયા ધનસુરા-વડાગામ-રોઝડ-ચોકડી થઈને તેનપુર-દહેગામથી જઈ શકશે.


