અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનો Arvalliમાં કાર્યક્રમ, પશુપાલકો સામે ભાજપની નીતિ પર કર્યા આકરા પ્રહાર

Arvalli News: મોડાસા કુમકુમ પાર્ટી પ્લોટ ખાતે આજે આમઆદમી પાર્ટીની પશુપાલક ખેડૂત મહાપંચાયત યોજાઈ હતી. જેમાં આપના કેન્દ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવલ તથા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ઉપસ્થિત રહ્યા હતા. આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા,પ્રદેશ મંત્રી જયદીપ સિંહ ચૌહાણ,ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, ધારાસભ્ય હેમંત ખવા, પ્રદેશ મહિલા અધ્યક્ષ રેશ્મા પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનું નિવેદન
પાશુપાલકોમાંના એક અશોક ચૌધરીનું વિરોધ દરમિયાન નિધન થતા તેમના માનમાં સૌપ્રથમ બે મિનીટ મૌન પાડવામાં આવ્યું હતું. અરવલ્લી જિલ્લાના 15થી વધુ દૂધ મંડળીઓના ચેરમેનોએ મંડળીના લેટરપેડ પર અરવિંદ કેજરીવાલનો આભાર માનતા પત્રો અર્પણ કર્યા હતા. સભા શરૂ થતાં સૌ પ્રથમ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, 30 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે અને દરેક જગ્યાએ લૂંટ ચાલી રહી છે.
ભાજપ સરકાર પશુપાલકોના હકનું લૂંટી રહ્યા છે. પોતાની રજુઆત કરવા ગયેલા પશુપાલકો પર લાઠીઓ વરસાવી ટિયરગેસના સેલ છોડ્યા. નિર્દોષો સામે એફઆઈઆર કરવામાં આવી. ભગવંત માને વધુમાં જણાવ્યું હતું કે, જો કોંગ્રેસ પશુપાલક સાથે હોત તો અમારે દિલ્હીથી અહીં સુધી આવવું ના પડતું. જે ઝાડુ સવારે મકાન અને દુકાન સાફ કરે છે એ ઝાડુ આખા દેશમાં સફાઈ કરશે.
આપના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલનું નિવેદન
આપના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, પશુપાલકો પોતાનો હક માગવા ગયા અને પોલીસે લાઠી ઉઠાવી છે. ખેડૂતોના પશુપાલકોના રૂપિયા ક્યાં ગયા? આ પૈસાથી મોટા મોટા મહેલ બન્યા, સ્વિસ બેંકમાં ગયા, પશુપાલકોના પૈસાથી મોટી મોટી ચૂંટણીઓ લડાય છે. કેજરીવાલે જણાવ્યું હતું કે, 18 તરીખના રોજ ઈશુદાન ગઢવીએ કેજરીવાલ અને ભગવંત માન અરવલ્લી આવવાની વાત કરી કે તરત જ ડેરી સત્તાવાળાઓએ નફો વધારવાની જાહેરાત કરી છે હજુ આપ્યો નથી.
જો ખેડૂતો એમના હક વિશે વાત કરવા આવ્યા હતા તો એમની સાથે બેસીને વાત કરવી જોઈએ કે લાઠી ચલાવવી જોઈએ એ એમનો અહંકાર છે. કેજરીવાલે માંગ કરી છે કે મૃતક પશુપાલક અશોક ચૌધરીને એક કરોડ રૂપિયાનું વળતર આપવું જોઈએ. જો તમામ ખેડૂતોને તેમનો હક મળે તો તમામ ખેડૂતોની ગરીબી દૂર થઈ જાય તમામ સહકારી ક્ષેત્રો પર ભાજપે કબજો જમાવ્યો છે. આમ આદમી પાર્ટી ગરીબોની, ખેડૂતોની અને શ્રમિકોની સરકાર છે. આ લડાઈ દૂધની નથી આ લડાઈ ન્યાયની છે. કોંગ્રેસના બધા ઘોડા શાદીના છે અને આપના બધા ઘોડા લાંબી રેસના છે.

