Anand/ મકરસંક્રાંતિ પહેલા જ કરુણાંતિકા, ભાણપુરામાં પતંગની દોરીએ માસૂમનો જીવ લીધો

મકરસંક્રાંતિનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે પતંગ ચગાવતી વખતે થતા અકસ્માતો અંગે ફરી એકવાર ગંભીર સાવચેતી રાખવાની જરૂરિયાત સામે આવી છે. આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ભાણપુરા ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં પતંગ ચગાવતી વખતે કરંટ લાગવાથી એક માસૂમ બાળકનું કરુણ મૃત્યુ થયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભાણપુરા ગામમાં રહેતા 10 વર્ષીય કિશોર જયવીર દિલીપસિંહ રાજ પોતાના ઘરના ધાબા પર પતંગ ચગાવી રહ્યો હતો. કમનસીબે, આ બાળક જે ધાબા પર હતો તેની નજીકથી જ હેવી વીજ પ્રવાહની લાઈન પસાર થતી હતી. પતંગ ચગાવતી વખતે તેની દોરી આ હેવી વીજ પ્રવાહની લાઈનમાં ફસાઈ ગઈ હતી.
દોરી વીજ વાહકમાં ફસાતા જ માસૂમ જયવીરને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. કરંટ લાગવાથી બાળક ગંભીર રીતે દાઝી ગયો હતો અને તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
બાળકના કરુણ મોતથી રાજ પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. 10 વર્ષના માસૂમ કિશોરના અકાળે અવસાનથી પરિવારજનોની સાથે સાથે ગામ લોકો પણ સ્તબ્ધ થઈ ગયા છે.

