આણંદ: આંકલાવના ખડોલ ગામમાં 17 વર્ષની કિશોરીએ કરી આત્મહત્યા, પરિવારજનોએ જમવા બાબતે આપ્યો હતો ઠપકો

આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ખડોલ ગામની વીકાપુરા સીમમાં રહેતી ૧૭ વર્ષીય કિશોરીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. મળતા અહેવાલ પ્રમાણે ગત રોજ જમવાનું બનાવવા બાબતે પરિવારજનોએ ઠપકો આપ્યો હતો. જેને લઇ તેણીના મનમાં લાગી આવતા ઘરેથી નીકળી ગઈ હતી.
દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈને કરી આત્મહત્યા
ઘરેથી થોડીક દૂર લીમડાના ઝાડ સાથે દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈને તેણીએ આપઘાત કરી લીધો હતો. સ્થાનિકોને આ અંગે જાણ થતા તેઓએ તેણીના પરિવારજનોને જણાવ્યું હતું અને પરિવારજનો ઘટના સ્થળે દોડી ગયા હતા.
કિશોરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો
આ ઘટનાની જાણ આંકલાવ પોલીસને થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કિશોરીના મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

